શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 જૂન 2019 (18:31 IST)

છેવટે સરકારે ઝૂકવુ પડ્યું. નવરાત્રી વેકેશન રદ કરવાનો કેબિનેટમાં નિર્ણય લેવાયો

ઉનાળું વેકેશન પુરું થવાના આરે છે ત્યારે ગણતરીના દિવસોમાં શાળા અને કોલોજોમાં શિક્ષણ શરૂ થનારું છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડેમિક કેલેન્ડર જાહેર કર્યું છે. સાથે સાથે ગત વર્ષથી શરૂ કરવામાં આવેલું નવરાત્રી વેકેશન રદ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયાને જણાવ્યું હતું. આમ હવેથી શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમમાંએ જણાવ્યું હતું કે, આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં પહેલો નિર્ણય ઉનાળાનું વેકેશન લંબાવાનું નથી. બીજો નિર્ણય હતો કે, 2018માં નવરાત્રી વેકેશન આપવમાં આવ્યું હતું. અને આ વખતે પણ શાળાઓને નવરાત્રીનું વેકેશન આપવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો. જોકે, આજે મળેલી કેબિનેટની બેઠકમાં નવરાત્રીના રદ કરવાનો નિર્ણય કર્યો છે. બેઠકમાં આવેલી રજૂઆતોને ઉપર ચર્ચાવિચારણા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2019-20નું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે જ્યારે બીજા સત્રમાં 142 દિવસનું શિક્ષણિક કાર્ય રહેશે. પ્રથમ સત્રમાં 8 દિવસનું વેકેશન રહેશે જે કેબિનેટના નિર્ણય બાદ રદ કરવામાં આવ્યું છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસના અભ્યાસના દિવસો રહેશે. આ ઉપરાંત ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.