ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ન્યુઝ|
Last Modified: બુધવાર, 4 સપ્ટેમ્બર 2019 (14:59 IST)

શ્રદ્ધાના નામે ધતિંગ કરનાર ધનજીને ઢબુડી માતા બનાવવા માટે આ હતા માસ્ટર પ્લાન

અમદાવાદ: થોડા સમય પહેલા ઢબુડ માતાના નામે લોકો સાથે ઠગાઇ કરતા ધનજી ઓડનો પરદોફાશ થયા બાદ એક પછી એક નવા ખુલાસાઓ થઇ રહ્યાં છે. ઢબુડી માતાના નામે ચાલતો આ ગોરખ ધંધો ચલાવનાર ધનજી ઓડ અને તેના સાગરિતો ભેગા મળી લોકોને કંઇ રીતે છેતરી રહ્યા હતા અને આ સમગ્ર ગોરખ ધંધો કોણ શું કામ કરતા હતા.
 
ગાંધીનગરના રૂપાલ ગામથી ધનજી અને તેના સાગરિતોએ ઢબુડી માતાના નામે આ ઠગાઇના ધંધાની શરુઆત કરી હતી. ધનજીએ તેના સાગરિતો સાથે મળીને રૂપિયા કમાવવા મોડેસ ઓપરેન્ડી બનાવી હતી. જો કે, તેના ભાંડો ફૂટી જતા ગ્રામજનોએ તેને અને તેના સાગરિતોને ગામમાંથી હાંકી કાઢ્યા હતા. પરંતુ ત્યારબાદ ધનજીએ તેના નેટવર્કને વધારવાનો પ્રયત્ન શરૂ કર્યો અને તેના સાગરિતોને સભામાં બેસાડી ઢબુડી માતાએ તેમના કામ કર્યા હોવાનું રટણ શરૂ કરાવ્યું હતું. જેના કારણે લોકોને ઢબુડી માતા પર વિશ્વાસ મુકે અને તેમના આ ઠગાઇના ધંધો ચાલે.
 
જો કે, ધનજી ઓડ તેના આ પ્લાનમાં સફળ રહ્યો અને લોકોમાં તેના પ્રત્યે વિશ્વાસ વધાવા લાગ્યો હતો. જેમાં ધનજીએ ઠગાઇના આ ધંધામાં તેના સાગરીતોને અલગ અલગ કામ સોંપ્યા હતા. ધનજી પોતે ઢબૂડી માતાના નામે ધૂણતો અને માત્ર પરચા આપ્યા હોવાનું નાટક કરી જુદી જુદી જગ્યાએ ઢબુડી માતાના નામે ગાદીનું આયોજન કરવાતો હતો. ત્યારે ધનજીની પત્ની જ્યાં ગાદીનું આયોજન થાય ત્યાં માતાના પરચાનો દેખાડો કરવાનું થાય એટલે તે ધુણવા લાગતી હતી. જેથી લોકોમાં ઢબુડી માતા એટલે કે ધનજી પર વિશ્વાસ વધવા લાગતો હતો.
 
ત્યારે આ ધંધામાં ધનજીનો પુત્ર વિપુલ ઓડ પણ સામે હતો. વિપુલ ઓડ નારા બોલાવવા કે ભક્તિમય માહોલ કરવા માટે હંમેશા તે ગાદીની પાસે જ બેસતો. જ્યારે ધનજીના વહિવટદાર તરીકે વિનોદ પરમાર કામ કરતો હતો. આમ તો વિનોદ પરમાર જમીન-મકાનની દલાલી કરે છે. પરંતુ રાજકીય વગ ધરાવતો વિનોદ હપ્તા પહોંચાડી કેટલાક પોલીસકર્મીઓ આ આયોજનમાં અડચણરૂપ ન બને તેવી વ્યવસ્થા ઉભી કરતો હતો. 
 
જોકે આ ઉપરાંત ધનજી ઓડના બે સેવક હતા. એક ભરત લેઉઆ અને બીજો દિલીપ ગઢવી. જેમાં ભરત લેઉઆ મૂળ હોમગાર્ડનો જવાન છે અને તેનું કામ એક વિશ્વાસુ ડ્રાઈવર તરીકેનું અને રૂપિયાની હેરાફેરી કરવાનું છે. તો બીજી તરફ ધનજી ઓડના ધતિંગનો પ્રચાર કરવાનું કામ દિલીપ ગઢવીને સોંપવામાં આવ્યું હતું. દિલીપ ગઢવી જ્યાં પણ ગાદીનું આયોજન થયું હોય ત્યાં સુધી કેટલાક સાગરીતોને લઈ ઢબુડી માતાનાં પરચાની ચર્ચા કરાવતો હતો.