શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 જાન્યુઆરી 2018 (12:56 IST)

ગુજરાતના ચૂંટાયેલા ધારાસભ્યોની ૨૩ જાન્યુઆરીએ થશે શપથવિધિ, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી બજેટ સત્રનો થશે પ્રારંભ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામોના એક મહિનાથી વધુ સમય બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ રહ્યું છે. આગામી ૨૩ જાન્યુઆરીના રોજ નવી વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે. ૨૩ જાન્યુઆરીના રોજ ધારાસભ્યોની શપથવિધિ યોજવામાં આવશે. સંસદીય રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર પણ શરૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે જ નવા સ્પીકરની વરણી કરવામાં આવશે. બજેટ સત્ર ૩૧ માર્ચ સુધી ચાલશે. ૨૩ જાન્યુઆરીએ સવારે ૧૦ વાગે પ્રોટેમ સ્પીકરની પણ વરણી કરવામાં આવશે. બંધારણના અનુચ્છેદ ૧૮૮ની જોગવાઇ અનુસાર પ્રોટેમ સ્પીકર તરીકે નિમાનાર સભ્યનો શપથ ગ્રહણવિધિ સમારોહ આગામી તા. ૨૩/૦૧/૨૦૧૮ના રોજ મંગળવારે સવારે ૧૦.૦૦ કલાકે, રાજભવન ખાતે રાજ્યપાલ સમક્ષ યોજાશે. ચૂંટાયેલા ધારાસભ્યોનો સોગંદવિધિ સમારોહ પ્રોટેમ સ્પીકર સમક્ષ આજ દિવસે બપોરે ૧૨.૦૦ કલાકે સાબરમતી હોલ, સ્વર્ણિમ સંકુલ- ૧, નવા સચિવાલય, ગાંધીનગર ખાતે યોજાશે તેમ તેમણે ઉમેર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણીનું ૧૮મી ડિસેમ્બરે પરિણામ જાહેર થયા હતા છતાં હજુ સુધી નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથવિધિ થઈ શકી નથી. બીજી બાજુ ભાજપ દ્વારા વિધાનસભા ગૃહનાં સ્પીકરની પસંદગી પણ કરવામાં આવી નથી. ગુજરાતના સ્પીકર તરીકે વધુ બે નામે વહેતા થયા છે જોકે આ પહેલા પણ અનેક નેતાઓના નામની ચર્ચાઓ ચાલતી હતી. સ્પીકર માટે ડૉ. નીમાબહેન આચાર્ય ઉપરાંત રાજેન્દ્ર ત્રિવેદી અને દુષ્યંત પટેલનાં નામો પણ વહેતા થયા છે. જોકે હવે એ જોવાનું રહ્યું હતું ભાજપમાંથી કયા નેતાને સ્પીકર બનાવશે. ભાજપ હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તેને અધ્યક્ષ બનાવવામાં આવશે ચૂંટણીનાં પરિણામ બાદ અને મંત્રી મંડળની રચના પહેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અથવા ડૉ. નીમાબહેનને સ્પીકરપદ અપાય તેવી ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ ભુપેન્દ્ર ચુડાસમાને મંત્રીપદ અપાતા તેમના નામ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે જોકે હવે અન્ય વિકલ્પો જોવામાં આવી રહ્યા છે.