શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 જુલાઈ 2018 (15:24 IST)

ધીરુભાઇ અંબાણીની ટેકનોલોજી પ્રત્યેની શ્રદ્ધા, જોડાણ અને આગ્રહનાં ફળ જનતાને ચાખવા મળી રહ્યાં છે - પરિમલ નથવાણી

અમદાવાદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના આઈ.પી.ઓ લાવ્યાના 40 વર્ષની ઉજવણીના પ્રસંગે આર.આઇ.એલ.ના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર  મૂકેશ ડી. અંબાણીએ તેમના પિતા અને કંપનીના સ્થાપક ચેરમેન ધીરુભાઇ અંબાણીને શ્રદ્ધાંજલી આપતાં જણાવ્યું હતું કે તેઓ ધીરુભાઇ પાસેથી સાહસ, સહાનુભૂતિ, ટેકનોલોજી અને કૌશલમાં શ્રદ્ધા કેળવવાના ગુણો શીખ્યા હતા. આ ગુણોના કારણે જ આજે તેઓ આર.આઇ.એલ.ને દિશાનિર્દેશ આપીને નવી ઊંચાઇ પર લઇ જઇ શક્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. 
ધીરુભાઇ અંબાણીની 16મી પુણ્યતિથિએ તેમના ટેકનોલોજી પ્રત્યેના જોડાણઅને શ્રદ્ધા અંગે વાત કરવી છે. ધીરુભાઇ અંબાણીનું વિઝનઘણું વિશાળ હતું. તેઓ પોતાના વ્યવસાય ક્ષેત્રમાં થઇ રહેલાંનિત-નવાં સંશોધનો, આવિષ્કારો અને જાગતિક પ્રવાહોથી પોતાની જાતને સતત અવગત રાખતા હતા. આ જ કારણ છે કે તેઓ પોતાના સમયથી ઘણું આગળ વિચારી શકતા હતા. 
એડનથી ભારત પરત આવ્યા બાદ મરી-મસાલા, યાર્ન વિગેરેના વ્યાપારમાં હાથ અજમાવ્યા પછી ઉત્પાદન ક્ષેત્રે ઝૂકાવવાનું નક્કી કર્યું અને અમદાવાદના સીમાડે આવેલા નરોડા વિસ્તારમાં કાપડના ઉત્પાદન માટે નવું એકમ શરૂ કર્યું.ધીરુભાઇ અંબાણી સારી રીતે જાણતા હતા કે ટેકનોલોજીમાં કરવામાં આવેલું રોકાણ ક્યારેય એળે જવાનું નથી. તદ્ઉપરાંત તેનાથી ઓછા સમયગાળામાંઉત્તમ ગુણવત્તા ધરાવતાં ઉત્પાદનો મેળવી શકાય છે. વળી ઉત્પાદનની ગુણવત્તામાં પણ સાતત્યતા જળવાઇરહે છે. 
ધીરુભાઇની ટેકનોલોજીમાં આ શ્રદ્ધાને કારણે રિલાયન્સ ગ્રૂપના નરોડા ટેક્સટાઇલ એકમને 
સન 1975 માં વિશ્વ બેન્ક તરફથી ભારતના સૌથી મોર્ડન ટેક્સટાઇલ કોમ્પલેક્સ તરીકે નવાજવામાં આવ્યું હતું. તે સમયગાળામાં જ્યારે અમદાવાદમાં માતબર કાપડ મિલો એક યા બીજા કારણે ટપોટપ બંધ પડવા માંડવાની શરૂઆત થઇ હતી ત્યારે ધીરુભાઇની નરોડા મિલમાં મોર્ડન ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવતા કાપડને એટલી સ્વીકૃતિ પ્રાપ્ત થઇ કે 'વિમલ' બ્રાન્ડનું નામ ઘર-ઘરમાં જાણીતું  બની ગયું. 
રિલાયન્સ દ્વારા જામનગરમાં જ્યારે પ્રથમ રિફાઇનરીની સ્થાપના કરવામાં આવી ત્યારે પણ ધીરુભાઇએ તે સમયની સર્વોત્તમ ટેકનોલોજીના ઉપયોગનો આગ્રહ રાખ્યો હતો. તેના કારણે જ દુનિયાની શ્રેષ્ઠ રિફાઇનરીઓમાં ખૂબ ઊંચો કોમ્પલેક્સિટી ઇન્ડેક્સ ધરાવતી રિફાઇનરીઓમાં રિલાયન્સ રિફાઇનરી મોખરાનું સ્થાન ધરાવે છે. જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કોમ્પલેક્સનો નેલ્સન કોમ્પલેક્સિટી ઇન્ડેક્સ 14 છે. એટલું જ નહિ,આજે રિલાયન્સની જામનગર રિફાઇનરી કોઇપણ પ્રકારનાં ક્રૂડ ઓઇલનું શુદ્ધિકરણ કરે છે. ક્રૂડ ઓઇલની ગુણવત્તા તેની મિઠાસ અને ખટાશમાં મપાય છે. વધુ ખટાશવાળું ક્રૂડ ઓઇલ બધી જ રિફાઇનરીઓ, ખાસ કરીને જૂની ટેકનોલોજી ધરાવતી રિફાઇનરીઓ, પ્રોસેસ ન પણ કરી શકે. રિલાયન્સે એવી ટેકનોલોજી અપનાવી જે તમામ પ્રકારનાં ક્રૂડ પ્રોસેસ કરી શકે. વધુમાં,રિલાયન્સની જામનગર રિફાઇનરી દ્વારા પ્રાપ્ત ગ્રોસ રિફાઇનિંગ માર્જિન માત્ર ભારતમાં આવેલી રિફાઇનરીઓ જ નહીં પરંતુ સિંગાપોર રિફાઇનિંગ માર્જિન કરતાં પણ ઊંચું છે.ધીરુભાઇના અદ્યતન ટેકનોલોજીના ઉપયોગના આગ્રહને કારણે વૈશ્વિકસ્તરેભૂ-રાજકીય તણાવના કારણે સમગ્ર માર્કેટમાં આવેલી કપરી પરિસ્થિતિઓનો સામનો કરીને રિલાયન્સની રિફાઇનરી નવી ઊંચાઇઓ સર કરી રહી છે. 
ધીરુભાઇ અંબાણીના વારસાને આગળ વધારતાં  મૂકેશ ડી. અંબાણીએ રિલાયન્સના જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સમાં સતત નવી ટેકનોલોજીને પ્રાધાન્ય આપ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જામનગર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ કોમ્પલેક્સમાં સ્થાપવામાં આવેલું વિશ્વનું પ્રથમ અને સૌથી મોટું રિફાઇનરી ઓફ ગેસ ક્રેકર કોમ્પલેક્સ (આર.ઓ.જી.સી,) પણ નવી ટેક્નોલોજી પ્રત્યેની રિલાયન્સની અપ્રતિમ શ્રદ્ધા દર્શાવે છે. સ્થાપક ચેરમેન ધીરુભાઇના વિઝનના ફળસ્વરૂપે સ્થપાયેલા આ કોમ્પલેક્સથી ઉત્પાદન કદમાં તો વધારો થશે જ પરંતુ ઉત્પાદન ખર્ચમાં ઘણી કરકસર થતાં કંપનીની ઉત્પાદકતા તેમજ નફાકારકતામાં વધારો થશે, જેનો લાભ શેરધારકોને પણ મળશે. 
 મૂકેશ ડી. અંબાણીએ ધીરુભાઇની અદ્યતન ટેકનોલોજી પ્રત્યેના જોડાણને આત્મસાત્ કર્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ રિલાયન્સ જિયો કરતાં વધારે બીજું શું હોઇ શકે?નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી 4જી વોલ્ટીને ભારતમાં પ્રચલિતબનાવવાનું શ્રેય રિલાયન્સ જિયોને ફાળે જાય છે. આ નવી ટેકનોલોજીના કારણે ભારતીય ટેલિકોમ માર્કેટમાં આવેલા સકારાત્મક પરિવર્તનથી દેશની જનતાને આર્થિક ફાયદો થવા ઉપરાંત આદરણીય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના 'ડિજીટલ ઇન્ડિયા'ના સ્વપ્નને સાકાર કરવામાં પણ મદદ મળી છે. 
ટેક્સટાઇલથી માંડીને રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ તેમજ ટેલિકોમના ક્ષેત્રોમાં નવી ટેકનોલોજીના ઉપયોગનો આગ્રહ રાખતાધીરુભાઇ અંબાણીના વિઝનના કેન્દ્રમાં સામાન્ય લોકોને થતો લાભ જ રહ્યો છે. ધીરુભાઇ અંબાણીની ટેકનોલોજી પ્રત્યેની શ્રદ્ધા, જોડાણ અને આગ્રહનાં ફળ ભારતની સામાન્ય જનતાને ચાખવા મળી રહ્યાં છે.
( પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ તથા રાજય સભા સાંસદ છે.)