બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 ફેબ્રુઆરી 2017 (14:15 IST)

ખેડૂતોની આત્મહત્યા મુદ્દે ભાજપા-કૉંગ્રેસના ધારાસભ્યો વચ્ચે વિધાનસભા ગૃહમાં છૂટા હાથની મારામારી

ગુજરાત વિધાનસભા સત્રના પહેલાં દિવસે ગૃહમાં નલિયાકાંડનો મુદ્દો ગૂંજ્યો હતો, ત્યારે આજે વિધાનસભામાં ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે છુટ્ટાહાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. ખેડૂતોના મુદ્દે ભારે હોબાળા બાદ સત્તા-વિપક્ષના સભ્યો સામ-સામે આવી ગયા હતા. શરમજનક ગણાય તેવી ઘટનામાં કૉંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકરોને પગમાં ઇજા પહોંચી હતી, જ્યારે ભાજપ સરકારના મંત્રી નિર્મલાબેન વાધવાણી, વલ્લભ કાકડીયા, શામજી ચૌહાણને પણ ઇજાઓ પહોંચી હતી. ઝપાઝપી બાદ ગૃહ મુલત્વી રખાયું
હતું.

કોંગ્રેસે કરેલ તોફાનોના તમામ દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. આ સમગ્ર ઘટના બનતા વિધાનસભાના સ્પીકર રમણલાલ વોરાને કાર્યવાહી 15 મિનિટ માટે સ્થગિત કરવાની ફરજ પડી હતી, ત્યારબાદ મામલો વધુ ગરમાતા ગૃહ આજના દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાને વખોડતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના આપઘાત મુદ્દે કોંગ્રેસ હોબાળો કર્યો હતો. સાર્જન્ટોએ બંને પક્ષના સભ્યોને છૂટા પાડ્યા હતાં. જે બાદ પાછળથી કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોર આવ્યા હતા અને ભાજપના સભ્યો પર હુમલો કર્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં કદી ન બની હોય તેવી શરમજનક ઘટના બની છે. ઝપાઝપીમાં અમને પણ ઇજા પહોંચી છે. કોંગ્રેસે કરેલ તોફાન CCTVમાં કેદ થયું છે. કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ બેસે છે ત્યાં આવીને તોફાન કર્યું હતું. નાસીપાસ થઇ ગયેલી કોંગ્રેસે મીડિયામાં બની રહેવા માટે આવું કરી રહી છે. આ સમગ્ર ઘટનાને વખોડતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું, ‘ખેડૂતોના આપઘાત મુદ્દે કૉંગ્રેસે હોબાળો કર્યો હતો. સાર્જન્ટોને બંને પક્ષના સભ્યોને છૂટા પાડવાની ફરજ પડી હતી. ત્યારબાદ કૉંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોર પાછળથી આવ્યા હતા અને ભાજપાના સભ્યો પર હુમલો કર્યો હતો. ગુજરાતના ઇતિહાસમાં કદી ન બની હોય તેવી કલંકિત ઘટના બની. મારામારીમાં અમને પણ ઇજા પહોંચી છે. કૉંગ્રેસના સભ્યોએ સત્તા પક્ષ બેસે છે ત્યાં બેસીને તોફાન કર્યું હતું. નાસીપાસ થયેલ કૉંગ્રેસ મીડિયામાં બની રહેવા માટે આવું કરી રહી છે.’


કૉંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં આપઘાત કરેલાં ખેડૂતોના નામ અને કારણો વર્ણવી રહ્યાં હતાં, ત્યારે ભાજપના સભ્યોએ બેઠા-બેઠા વિરોધ કર્યો હતો. આ દરમિયાન અધ્યક્ષ રમણલાલ વોરાએ પરેશ ધાનાણીને ટકોર કરતાં જણાવ્યું હતું કે, અહીંયા આવેલા બધા ખેડૂત છે. બધું વર્ણન કરવાની જરૂર નથી. ત્યારે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે, સરકારે આ અંગે વિચારવાની જરૂર છે. ખેડૂતોના આપઘાતના પ્રશ્ને જવાબ આપતાં ઉર્જામંત્રી ચીમનભાઇ સાપરિયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં માત્ર બે ખેડૂતોના મોત થયા છે. 1995 પહેલાં જ્યારે તમારી સત્તા હતી ત્યારે શું સ્થિતિ હતી? એટલું બોલતાં જ કોંગ્રેસના તમામ ધારાસભ્યો વિરોધમાં ઉભા થઇ ગયા હતા. તેની સામે ભાજપના સભ્યો પણ ઉભા થતાં મામલો ગરમાયો હતો. બંને પક્ષોના સભ્યો સામસામે આવી જતા વિધાનસભાના સાર્જન્ટો ગૃહમાં દોડી આવ્યા હતા. આ દરમ્યાન ભાજપાના સભ્ય કાંતિ અમૃતિયા અને કૉંગ્રેસના સભ્ય બળદેવજી ઠાકોર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં બળદેવ ઠાકોરે ભાજપાના અમૃતિયાને મારવા આગળ ધસી આવ્યા હતા. સાર્જન્ટો તેમજ કૉંગ્રેસના સભ્યોએ બળેદવજી ઠાકોરને પકડી રાખ્યા હતા. બળદેવજી ઠાકોરને સાર્જન્ટોએ પકડીને પાછળ ધકેલયાં તો તેઓ પાછળ ફરી અધ્યક્ષના ટેબલ પાસે દોડી ગયાને અમૃતિયાને મારવા દોડી ગયા હતા. આ દરમ્યાન બંનેને છોડાવા માટે વચ્ચે પડેલાં સંસદીય સચિવ શામજી ચૌહાણને લાત મારતાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારે બાજુમાં ઉભેલા રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી વલ્લભભાઇ કાકડીયાએ પણ શામજી ચૌહાણને ધક્કો વાગતા મંત્રી કાકડીયા ઢળી પડ્યા હતા.

ઘમાસણમાં રાજ્યકક્ષાના મંત્રી ડૉ.નિર્મલાબેન વાધવાણીને બળદેવજી ઠાકોરે ધક્કો માર્યો હતો તેવું વાધવાણીનું કહેવું છે. બળદેવજી ઠાકોરે ઉશ્કેરાઇને અભદ્ર શબ્દો પણ ગૃહમાં બોલ્યા હતા. તેના લીધે તેમને હાથ પર ઇજા થઇ હતી ને કાર્યવાહી મુલતવી રહ્યા પછી ગૃહમાં અરાજકતાના હિંસક દ્રશ્યો સર્જાયા હતા.