શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:22 IST)

વિદેશી મહેમાનોને આકર્ષવામાં ગુજરાત સરકાર નિષ્ફળ, 300 કરોડના આંધણ બાદ 500 વિદેશીઓ પધાર્યા

કાઇટ ફેસ્ટિવલ,રણોત્સવ અને નવરાત્રી મહોત્સવ પાછળ કરોડોનો ધુમાડો કર્યાં છતાંયે માત્ર ગણતરીના જ વિદેશી મહેમાનો ગુજરાત આવ્યાં છે. કોંગ્રેસે ભાજપ સરકારની આકરી ટીકા કરી સરકારી ઉત્સવો પાછળ કરોડો ખર્ચવા કરતાં પતંગ ઉધોગ પર નભનારાં હજારો પરિવારોને રાહત આપી પતંગ પરથી ૫ ટકા જીએસટી નાબૂદ કરવા માંગણી કરી છે. છેલ્લા ૧૪ વર્ષમાં ભાજપ સરકારે રણોત્સવ,આંતર રાષ્ટ્રીય પતંગોત્સવ,નવરાત્રી મહોત્સવ પાછળ રૃા.૩૦૦ કરોડનો માતબર ખર્ચ કર્યો છે.

એક વિદેશી મહેમાન પાછળ સરેરાશ ૬૦ લાખનો ખર્ચ કરાયો છે તેવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે, કરોડોનો ખર્ચ કર્યા છતાંય વિદેશીઓ ગુજરાત આવતાં જ નથી.છેલ્લા ૧૪ વર્ષમાં રણોત્સવ પાછળ રૃા.૮૮.૯૫ કરોડ ખર્ચાયા અને ૧૬૦ વિદેશીઓ આવ્યા હતાં. પતંગોત્સવમાં ય રૃા.૯૫.૪૦ કરોડ ખર્ચ કરાયો પણ માત્ર ૨૩૫ વિદેશીઓ ગુજરાત આવ્યા હતાં. આ જ પ્રમાણે, નવરાત્રીમાં ય ૧૧૪.૯૮ કરોડનો ખર્ચ કરાયો તેમ છતાંય ૧૧૦ ફોરેનરો ગુજરાતી કલ્ચર જોવા આવ્યા હતાં. બીજી તરફ,દેશની માગનો ૪૦ ટકા હિસ્સો ધરાવતાં પતંગ ઉદ્યોગ આજે મરણપથારીએ છે.હજારો પરિવારો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. અસંગઠિત ક્ષેત્રના પતંગ ઉદ્યોગ આગામી દસેક વર્ષમાં ૫૦૦ કરોડનો થઇ જશે તેવી બડાઇ હાંકનારાં ભાજપના સત્તાધીશોએ પતંગમાં વપરાતા કાગળ પરથી ૧૨ ટકા અને પતંગ પરથી ૫ ટકા જીએસટી નાબૂદ કરવો જોઇએ. વિદેશી મહેમાનો પાછળ કરોડોનો ધુમાડો કર્યા વિના પતંગ ઉદ્યોગ પર નભનારાં ગરીબ પરિવારોને સરકારે મદદરૃપ થવુ જોઇએ.