શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2017 (12:32 IST)

મહિલા-પુરુષ બંને લગ્ન પહેલા શારીરિક સંબંધ ના બાંધવો જોઈએ - હાઈકોર્ટ

વિશ્વ મહિલા દિવસની પહેલા લિવ ઈન રિલેશનના એક કેસમાં પોલીસ કર્મી સામે મહિલાએ કરેલી ફરિયાદ રદ કરવાના કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાએ એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા એવું અવલોકન કર્યું છે કે, ‘‘મહિલા-પુરુષ બંનેએ લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધવાથી પોતાની જાતને બચાવવા જોઈએ. ખોટા વચનો અને પ્રલોભનોની માયાજાળમાં યુવતી કે કોઈ મહિલાને ફસાવીને તેનું શારીરિક શોષણ નહિ કરવું એ પુરુષને નૈતિક જવાબદારી છે.

પરંતુ કોઈની સાથે સંબંધમાં હોય તેવી યુવતીઓ અને મહિલાઓએ પોતાની પવિત્રતા, અખંડતા અને શાલીનતાને સ્વયં સાચવવી પડે. કેમ કે કોઈની સાથે સંબંધમાં બંધાયા બાદ લગ્નનું વચન પૂરું થાય પણ અને ના પણ થાય. એટલે કે મહિલા ખુદ જ અંતે તો તેના શીલ અને દેહની રક્ષક છે.' આ સાથે જ આ કેસમાં કોર્ટે 16 વર્ષના લિવ ઈન રિલેશનમાં પતિ પત્નીની જેમ રહ્યા બાદ બળાત્કારના આરોપને ગ્રાહ્ય નહોતો રાખ્યો પણ પુરુષ સામે છેતરપિંડીના કેસમાં તપાસનો આદેશ કર્યો છે. આ સમગ્ર મામલે રાજકોટના એક પુરુષે તેની સામે બળાત્કાર, છેતરપિંડી સહિતની ફરિયાદને રદ્દ કરવા રિટ કરી હતી. જેમાં એવી રજુઆત કરી હતી કે,'16 વર્ષ સુધી પોતાની મરજીથી લિવ ઈન રિલેશનમાં રહ્યા બાદ ફરિયાદી મહિલા એવા આરોપ મૂકે કે એની સાથે બળાત્કાર થયો છે તો એ આરોપ પાયાવિહોણા ગણાય.' જયારે મહિલા તરફથી પુરુષની આ અરજી રદ કરવાને લાયક હોવાની અને ફરિયાદ મુજબ કાર્યવાહી કરવાની રજૂઆત થઇ હતી. બંને પક્ષોની રજૂઆતના અંતે જસ્ટિસ પારડીવાલાએ અત્યંત માર્મિક અને વર્તમાન સમયમાં સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોને લક્ષ્યમાં રાખીને ચુકાદો આપ્યો હતો. જેની શરૂઆતમાં તેમણે એક જ્યુઈશ કહેવત ટાંકી હતી કે, ‘‘જયારે તમે (સ્ત્રી-પુરુષ) નજીક હોય ત્યારે તેમણે દૂર રહેવું જોઈએ, અને જયારે તમે(સ્ત્રી-પુરુષ) દૂર-દૂર હોવ ત્યારે તમારે નજીક રહેવું જોઈએ.' આ સાથે આ ચુકાદામાં એવું નોંધ્યું છે કે,‘‘આ કેસમાં ફરિયાદી મહિલાએ 16 વર્ષ સુધી એક પરિણીત અને બે પુખ્ત વયના બાળકોના પિતા સાથે લગ્નેતર સંબંધ રાખ્યો હતો.અરજદાર પરિણીત અને બે બાળકનો પિતા છે એ મહિલાને પહેલા દિવસથી જાણ હતી. કદાચ અરજદાર પોલીસકર્મી હોવાથી મહિલાને તેની સંપત્તિ પ્રત્યે લોભ રહ્યો હશે અને તેને આ પુરુષ સાથે 16 વર્ષ સુધી વિના કોઈ ફરિયાદ કર્યે લગ્નેતર રહેવાનું સ્વીકાર્યું હતું, પરંતુ જ્યારે આ પોલીસ સેવામાંથી નિવૃત થવાનો હતો ત્યારે જ ફરિયાદી મહિલાને અસલામતીનો અહેસાસ થયો. અરજદાર પોલીસકર્મી માટે પણ આ પ્રકરણ શરમજનક છે.તે પરિણીત અને બે બાળકનો પિતા હતો તેમ છતાં બીજી સ્ત્રી સાથે લગ્નેતર સંબંધ રાખ્યા. પરંતુ આ કેસ માં જ્યાં સુધી તેની સામે બળાત્કારના ગુનાની વાત છે તે નકારાત્મક જણાય છે.