બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2017 (15:19 IST)

ચૂંટણી જીતવા રાજકિય પક્ષોના ઉમેદવારો તાંત્રિકોના શરણે, સ્મશાનમાં હવન કર્યો

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ચરોતરના ગામડામાં આજે પણ અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી રહ્યું છે. ઉમરેઠ તાલુકાના ભરોડા ગામે ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભારે રસાકસી જામી છે. ત્યારે સરપંચની દાવેદારી કરનાર ઉમેદવારો દાવપેચની સાથે સાથે તાંત્રિકનો આશરો લીધો છે. એક ઉમેદવારે સ્મશાનમાં સામા પક્ષના ઉમેદવારને હરાવવા માટે ચાર તાંત્રીકો બોલાવી યજ્ઞ કરાવી માતા ફરતી મુકી હોવાની વાત વહેતી મુકી હતી. જ્યારે સામે પક્ષે તેના જવાબમાં કાળા તલની વિધિ કરીને તેના વિસ્તારમાં ફેંક્યા હતા. જેના પગલે ગામમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

ભરોડા ગામે સરપંચ તરીકે બે ઉમેદવારો મેદાનમાં છે. જેમાં એક ઉમેદવાર પટેલ સમાજનું સમર્થન છે. જ્યારે સામા પક્ષે ઝાલા જ્ઞાતિના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ગ્રામપંચાયતનું ઇલેકશન જીતવા માટે અનેક કાવા-દાવા રચાઇ રહ્યા છે. જેમાં સરપંચના એક ઉમેદવારે સામેના પક્ષના ઉમેદવાર તથા તેના મતદારો પોતાના વિસ્તારમાં આવીને અન્ય મતદારો પર પ્રભાવ ન પાડે અને પોતાનો જ પ્રભાવ મતદાર પર રહે તે હેતુથી બંને તાંત્રિક વિધીનો સહારો લેતા ગ્રામ્યજનોને નજરે ચડ્યા છે. સરપંચની ઉમેદવારી નોંધાવનાર કિશન પરમારે બહારગામથી તાંત્રિક બોલાવીને ક્ષત્રીય મતદારો પોતાની તરફેણમાં રહે અને સામેનો ઉમેદવારની વાતોમાં ન ભરમાય અને પોતાનો જ વિજય થાય તે માટે તાંત્રિકવિધિ અમાસના દિવસે કરાવી હતી. ત્યારબાદ ગામમાં માતાજીને ફરતી મુકયાની વાત વહેતી મુકી હતી. અમે અંધશ્રદ્ધામાં માનતા નથી. પરંતુ અમને ફસાવા માટે કેટલાક લોકોને કાળા તલની વાત વહેતી કરી છે.