શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 એપ્રિલ 2017 (12:35 IST)

હવે ગાયોને બચાવવા દલિતો મેદાનમાં ઉતરશે? ગાયનું આધારકાર્ડ કઢાવવાની માંગ

ગુજરાત સરકારે રાજ્યમાં ગૌહત્યાને લઇને કડક કાયદાની જોગવાઈઓ કરીને આજીવન કેદ સુધીની સજાનો પણ કાયદામાં ઉલ્લેખ કરાયો છે ત્યારે દલિત સમાજની માંગ ઉઠી છે કે ગાયને એક આધાર કાર્ડ આપવામાં આવે. તદઉપરાંત દરેક ગામમાં ઘાસચારાનો એક કોઠાર હોવો જોઇએ જેથી કરીને ગૌવંશોને પ્લાસ્ટિક ખાવાનો વારો ના આવે. આ અંગે સુરેન્દ્રનગરના દલિત રાઇટ્સ એક્ટિવિસ્ટ નટુ પરમાર એક મહાસંમેલન યોજવાની તૈયારીમાં છે.

આ સંમેલનની થીમ જીવ માત્ર, કરૂણાને પાત્ર હશે. 10મી મેના રોજ યોજાનાર આ સંમેલનમાં પોતાના હક માટે લડતા દલિતો ભાગ લેશે. આ સંમેલનમાં ગાયનું એક મોટું મૉડલ તૈયાર કરીને મુકવામાં આવશે, જેમાં દર્શાવવામાં આવશે કે ગાયના પેટમાં કેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક હોય છે. અમે ઈચ્છીએ છીએ કે ગ્રામજનોને ગોચર જમીન પાછી આપવામાં આવે અને તેનો ઉપયોગ માત્રને માત્ર ગાયો દ્વારા કરવામાં આવે. કોઈ પણ ગાયના મૃત્યુ પર પોસ્ટમોર્ટમ કરવામાં આવે, જેનાથી તેના મોતનું અસલી કારણ જાણી શકાય. નટુ પરમાર કહે છે કે, દલિતોની હંમેશા ફરિયાદ રહી છે કે, કહેવાતા ગૌરક્ષકો ગૌરક્ષાના નામે તેમની સાથે અમાનવીય વ્યવહાર કરે છે. પણ ગાય જ્યારે પ્લાસ્ટિક ખાઈને મરી જાય છે ત્યારે કોઈને પડી નથી હોતી. ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડના ચેરમેન વલ્લભ કથિરીયા આધાર કાર્ડની માંગ પર કહે છે કે, ‘રાજ્યના બધા જ કેટલ્સ રજિસ્ટર થયેલા છે, અને ગાય માટે આધાર કાર્ડની માંગની અત્યારે જરુર નથી.