શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 જૂન 2017 (15:05 IST)

મહાત્મા ગાંધીજીના દોઢ લાખ હસ્ત લિખિત પત્રો હવે આર્કાઈવ્સમાં સચવાશે

દેશની સૌથી આધુનિક આર્કાઇવ્સમાં મહાત્મા ગાંધીજીના દોઢ લાખ હસ્ત લિખિત પત્રોની જાળવણી  આધુનિક પદ્ધતિથી કરાશે. આર્કાઇવ્સમાં ગાંધી બાપુનું નંદલાલ બોઝે તૈયાર કરેલું પૂરા કદનું કટ આઉટ પણ મૂકવામાં આવ્યું છે.  બાપુના એક એક કાગળને તે બગડી ન જાય તે માટે કન્ઝર્વેશન પ્રોસેસ દ્વારા એસિડ ફ્રી પેપરમાં રાખવામાં આવશે. પત્રોને સુરક્ષિત રાખવા માટે ટેમ્પરેચર અને હ્યુમિડિટી મેન્ટેન કરાશે. આર્કાઇવ્સમાં માત્ર ત્રણ વ્યક્તિ જ પ્રવેશ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બાપુના કાગળોનો અભ્યાસ કરવા માટે તેને વારંવાર ટચ ન કરવા પડે તે માટે તમામ કાગળોની એક ડિજિટલ કોપી તૈયાર કરાઇ છે. કેન્દ્ર સરકારના પ્રકાશન વિભાગે આ પત્રો ઉપરથી ‘કલેકટેડ વર્ક ઓફ મહાત્મા ગાંધી’ નામના ૧૦૦ ગ્રંથ તૈયાર કર્યા છે. જેનાં પપ હજાર પાનાં ગુજરાતીમાં પણ તૈયાર થયાં છે. આ તમામ પાનાની ડિજિટલ કોપી તૈયાર કરવામાં આવશે. ગાંધીજીએ જે જે વ્યક્તિને પત્ર લખ્યા છે તે તે તમામ વ્યક્તિઓએ મળીને બાપુના પત્રો ભેગા કર્યા છે. જેમાં ૪૦૦ વ્યક્તિઓના સંપર્ક બાદ ગાંધીજીએ તેમને લખેલા પત્રો એકત્ર કરાયા છે. ૧૯પ૧થી બાપુએ પત્રો લખવાનું શરૂ કર્યું હતું. અત્યાર સુધી બાપુ વિશે લખાયેલા ૧૧ લાખ પાનાંનું કલેકશન થયું છે. જેમાં બાપુએ જ લખ્યા હોય તેવા પોણા બે લાખ પાનાંનો સમાવેશ થાય છે. બાપુના હસ્તલિખિત પત્રોમાં તેમણે શ્રીમદ્ રાજચંદ્રજીને લખેલા પત્રોનો પણ સમાવેશ થાય છે. નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક એકિઝબિશન આવતી કાલથી જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે.