ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 જુલાઈ 2017 (15:50 IST)

સ્મૃતિ ઈરાનીની ગ્રાન્ટના લાખો રૂપિયાનો ગુજરાતમાં ભ્રષ્ટાચાર થયાનો ભાંડો ફૂટ્યો

સાંસદ સ્મૃતિ ઈરાની દ્વારા આણંદ જીલ્લાના વિકાસના કામો માટે ફાળવાયેલ રકમ યોજનાનું કામ કર્યા વગર ચૂકવી દેવામાં આવતા જીલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે સ્મૃતિ ઈરાની દ્વારા વર્ષ 2013-14માં આણંદ જીલ્લામાં જુદાજુદા તાલુકામાં વિકાસના કુલ 139 કામો કરાવવાની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ જીલ્લા આયોજન અધિકારી દ્વારા જુદા જુદા ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં કોઈ પણ પ્રકારના ઈ-ટેન્ડરીંગ કર્યા વગર અને એમપી લીડની માર્ગદર્શિકાનો સરેઆમ ભંગ કરાયો હતો. સ્મૃતિ ઈરાનીના પીએ દ્વારા જીલ્લા આયોજન અધિકારી સાથે ટેલીફોનીક ચર્ચા કરી આણંદ જીલ્લા બહારની ખેડા જીલ્લાની શ્રી શારદા મજુર કામદાર સહકારી મંડળીને અમલીકરણ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. શ્રી શારદા મજુર કામદાર સહકારી મંડળી દ્વારા જીલ્લાના 7 જેટલા વિકાસના કામો કર્યા વગર જ બીલ મેળવી લેતા જીલ્લા વહીવટી તંત્રના જીલ્લા આયોજન અધિકારી, જીલ્લા કલેકટરની ગંભીર બેદરકારી હોવાનું રાજકોટની ઓડીટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડીટ દરમ્યાન લાખો રૂપિયાનો ગોટાળો થયો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ વિજ્ઞાત્રી પટેલ બહાર લાવ્યા. રાજ્યસભાના સાંસદના ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ થયાનું ઓડિટમાં સામે આવતા જીલ્લા કલેકટર દ્વારા આણંદ જીલ્લાના 8 તાલુકામાં બે તાલુકા વાર નાયબ કલેકટર યોજનામાં થયેલ કૌભાંડની તપાસનો આદેશ કરવામાં આવ્યો છે, જે મામલે પેટલાદના વિજ્ઞાત્રી પટેલે આક્ષેપ કર્યો છે કે જીલ્લા કલેકટર સામગ્ર મામલામાં જવાબદાર છે અને તેથી જ તપાસના નામનું તરખટ રચ્યું હોવાનું જણાવ્યું છે.