ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 20 જાન્યુઆરી 2018 (13:27 IST)

ગુજરાત સરકારે 6580 શિક્ષકોની ભરતી કરવા માટે મંજૂરી આપી

રાજ્ય સરકારે વિવિધ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ખાલી પડેલી શિક્ષકોની 6850 જગ્યાઓ પર ભરતી કરવાની મંજૂરી આપી દીધી છે. આ તમામ જગ્યાઓ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં ખાલી પડી છે. છેલ્લા સાત વર્ષથી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી હતી, પરંતુ સરકાર તેના માટે મંજૂરી ન આપતી હોવાથી ભરતી નહોતી થઈ શકતી.વિવિધ શાળાઓના સંગઠનોએ આ અંગે વખતોવખત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. શાળાના સંચાલકોએ સરકાર સમક્ષ શિક્ષકોની ભરતી કરી આ જગ્યાઓ ભરવા માટે મંજૂરી માગી હતી.

સંચાલકોની ફરિયાદ હતી કે સરકાર મંજૂરી ન આપતી હોવાથી શિક્ષકોની ભરતી નથી થઈ શકતી, અને તેના કારણે શિક્ષણકાર્ય પર અસર પડી રહી છે, તેમજ અનેક સ્કૂલોમાં તો કાયમી પ્રિન્સિપાલની નિમણૂંક વગર ચાલી રહી છે.વર્ષોથી ખાલી પડેલી 6850 જગ્યાઓમાંથી 1566 જગ્યાઓ તો પ્રિન્સિપાલની છે, જ્યારે અન્ય 2915 જગ્યાઓ કોન્ટ્રાક્ટર સેકન્ડરી ટીચરની અને 2369 જગ્યાઓ હાયર સેકન્ડરી કોન્ટ્રાક્ટ ટીચરોની છે. સરકાર દ્વારા ત્રણ હજાર જેટલી જગ્યાઓ પર ભરતી કરવા માટે મંજૂરી નહોતી અપાઈ રહી.સરકાર હવે શાળાઓને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપશે, જે મળ્યા બાદ શાળાઓ અરજી મગાવી શકશે, અને પોતાની રીતે ભરતી કરી શકશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, શિક્ષકોની નિમણૂંક કરવાની પ્રક્રિયામાં શાળાઓએ સરકારી પ્રતિનિધિને પણ સામેલ કરવાના રહેશે.