શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જાન્યુઆરી 2018 (17:32 IST)

રાજ્યની જનતા ભયમાં છતાં સરકાર ઉંઘમાં, પત્રકારોએ સવાલ પૂછતા ચૂપચાપ રવાના થયા ગૃહ રાજ્યમંત્રી

'પદ્માવત' ફિલ્મના વિવાદને પગલે પશ્ચિમ અમદાવાદને બાનમાં લેવાની બનેલી ઘટનાના કલાકો વીત્યા બાદ પણ ગુજરાતની ભાજપ સરકાર એકદમ ચૂપકીદી સેવી રહી છે. આ ઘટનાને પગલે અમદાવાદ સહિત ગુજરાતની જનતામાં 25 જાન્યુઆરી ફિલ્મ રીલિઝ થવાના મુદ્દે ભય ફેલાઈ ગયો છે. આમ છતાં સરકાર કે ભાજપના કોઈપણ નેતા કે સરકારી અધિકારી આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

આજે મળેલી રૂપાણી સરકારની મંત્રી મંડળની બેઠકમાં પણ આ ફિલ્મના વિવાદ અને તોફાનો અંગે ગંભીર ચર્ચાઓ થઈ હતી. પરંતુ તે અંગેની કોઈ માહિતી પ્રજા સુધી પહોંચાડવા માટે સત્તાધીશો તૈયાર નથી. પીક અવર્સ દરમિયાન બનેલી આ ઘટનાને કારણે શહેરીજનોમાં ભય અને રોશની લાગણી ફેલાઈ હતી. તોફાની તત્વો બેફામ બનીને ખુલ્લી તલવારો સાથે વાહનો સળગાવતા હતા. તે સમયે સરકારના એક પણ પ્રતિનિધિ કે જવાબદાર અધિકારીએ તોફાનો શાંત પાડવાના પ્રયાસો તો એકબાજુ રહ્યા પ્રજાને હૈયાધારણા આપવાની અપીલ પણ કરી નહતી.  રાજ્યના મુખ્યમંત્રીથી લઈ ગૃહ રાજ્યમંત્રી કે પ્રવક્તા મંત્રી અને સ્થાનિક ધારાસભ્યો કે કોર્પોરેટરો પ્રજાની પડખે ઉભા રહેવા માટે તૈયાર નથી. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓથી લઈને સ્થાનિક નેતાઓએ મત મેળવવા માટે ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન શાંતિ અને સલામતી હોવાનો જોરશોરથી પ્રચાર કર્યો હતો. પરંતુ ગઈકાલની ઘટના બાદ આ મત માગનારા બીજેપીના નેતાઓ શોધ્યા જડતા નહોતા. આજે મંત્રી મંડળની બેઠક બાદ પ્રજાના ભય અને ડર અંગે પત્રકારોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સાથે વાતચીત કરવાના પ્રયાસો કરતા તેઓ મોં સંતાડીને કંઈપણ કહ્યા વિના રવાના થઈ ગયા હતા.