ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (15:59 IST)

જાણો ગુજરાત સરકારની આર્થિક-સામાજીક સમીક્ષા અનુસાર રાજ્યના કેટલા ઘરમાં વીજળી નથી

ગુજરાત રાજ્યમાં જ્યોતિ ગ્રામ યોજના તેમજ એલઈડી બલ્બ-ટ્યુબલાઈટથી  ઉજાલા સાથે વિકાસની થતી વાતોમાં ૧,૧૬,૯૦૩ કુટુંબો દીવાબત્તી વગર જ જીવન જીવી રહ્યા છે.જયારે ગાંધીનગરમાં ૧૬૨ કુટુંબો સાથે રાજ્યના ૧૬૦૧૬ કુટુંબો સૌર ઉર્જાથી વીજળી મેળવે છે. તેમાં આશ્ચર્યજનક રીતે ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૮૭૪ કુટુંબો સૌર ઉર્જાથી વીજળી મેળવે છે. ગુજરાત રાજ્યમાં ૫૭ વર્ષ પછી પણ ૧,૧૬,૯૦૩ કુટુંબો દીવાબત્તી વગર જ જીવન ગુજારી રહ્યા છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૯૨૨૯૩ અને શહેરી વિસ્તારમાં ૨૪૬૧૦ કુટુંબો દીવાબત્તી વગરના છે.

ગુજરાત રાજ્યની સામાજિક અને આર્થિક સમીક્ષા ૨૦૧૭-૧૮માં આપેલી વિગતો પ્રમાણે રાજ્યના ૧.૨૨ કરોડ જેટલા કુટુંબોમાંથી ૧,૧૦,૧૩,૨૧૪ કુટુંબોને વીજળી મળે છે. તેમાં ગામડાઓમાં હજુ સુધી નહિ પહોચેલી વીજળીમાં ૬૭.૬૫ લાખ કુટુંબોમાંથી ૫૭.૪૯ લાખ કુટુંબોને જ વીજળી મળે છે.જયારે ૫૪.૧૬ લાખ શહેરી કુટુંબોમાંથી ૫૨.૬૪ લાખ કુટુંબોને વીજળી મળે છે.પરંતુ ૧૧,૬૮,૫૦૪ કુટુંબોને લાઈટ માટે અન્ય સ્ત્રોત ઉપર રાખવા પડતા આધારમાં ૯,૮૩,૮૧૩ કુટુંબો કેરોસીનથી ફાનસ, દીવો વગેરે કરીને અજવાળું મેળવે છે. જેમાં ગ્રામ્યના ૮૬૯૨૫૫ કુટુંબો સામે શહેરી વિસ્તારમાં પણ ૧,૧૪,૫૫૮ કુટુંબોને અજવાળા માટે કેરોસીન વાપરવું પડે છે. તો કેરોસીન સિવાય અન્ય તેલથી ૨૬૧૫૫ કુટુંબોને દીવાબત્તી કરવા પડે છે. આ સિવાય અન્ય સ્ત્રોતો મારફતે વીજળી મેળવતા કુટુંબો ૨૫૬૧૭ છે. જ્યારે સૌર ઉર્જાથી વીજળી મેળવતા ૧૬૦૧૬ કુટુંબો પૈકી શહેરી વિસ્તારમાં માત્ર ૨૧૪૨ કુટુંબો જ છે. જયારે આશ્ચર્યજનક રીતે ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૮૭૪ કુટુંબો સૌર ઉર્જાથી વીજળી મેળવે છે. તેમાં નર્મદા જીલ્લામાં સૌથી વધારે ૩૯૧૫ પૈકી ગામડામાં જ ૩૯૧૧ કુટુંબો સૌર ઉર્જાથી વીજળી મેળવે છે. આ પછી વડોદરાના ગામડાઓમાં ૨૪૬૫ અને બનાસકાંઠાના ગામડાઓમાં ૯૫૫ કુટુંબો સૌર ઉર્જાથી વીજળી મેળવે છે.