મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 માર્ચ 2018 (12:57 IST)

સીએમ મોદીએ ઉઠાવેલા મુદ્દા પીએમ મોદીએ ચાર વર્ષમાં પુરાં નથી કર્યાં - પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભાની સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ નેતા પરેશ ધાનાણીએ ગુજરાતને લગતા 100 જેટલા મુદ્દા ઉઠાવ્યા હતા. ગુજરાતના લોકોને અસરકર્તા આ  મુદ્દા કેન્દ્ર સરકાર સાથે પેન્ડિંગ છે. ધાનાણીએ વિધાનસભામાં કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે આમાના મોટાભાગના મુદ્દાને તેમણે કેન્દ્રની UPA સરકાર સમક્ષ ઉઠાવ્યા હતા પરંતુ હવે તો તેઓ ખુદ સરકાર હોવા છતા હજુ સુધી આ મુદ્દે કંઈ જ કર્યું નથી.’

વિધાનસભાના બજેટ સત્રમાં જનરલ એડમિનિસ્ટ્રેશનડિપાર્ટમેન્ટ (GAD)ની બજેટરી માગણીઓ અંગે બોલતા ધાનાણીએ કહ્યું કે, ‘મોદી CM હતા ત્યારે કેટલીયવાર કેન્દ્ર સરકાર પાસે જાહેર કાર્યક્રમોમાં નર્મદા સરોવરને રાષ્ટ્રીય મહત્વકાંક્ષી પ્રોજેક્ટ જાહેર કરવા માગણી કરતા હતા પરંતુ હવે 4 વર્ષથી પોતે PM હોવા છતા આ મામલે કંઈ જ કર્યું નથી. 2013માં ગુજરાતના સાંસદોને કેન્દ્ર સરકાર સામે ગુજરાતને લગતા પ્રોજેક્ટ અને મુદ્દા ઉઠાવવા માટે એક ખાસ બુકલેટ આપવામાં આવી હતી. જેમાં ‘અમદાવાદ એરપોર્ટ ખાતે કાર્ગો હેન્ડલિંગ સેન્ટરની સ્થાપના, પશ્ચિમ રેલવેના હેડક્વાર્ટરનું અમદાવાદ સ્થળાંતર, ગીર અભ્યારણ ફરતે રીંગ રોડ, આંતરરાષ્ટ્રીય સરહદી સુરક્ષા અને રોડ-રસ્તા જેવા અનેક મુદ્દા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે 2015 બાદ તેમના દ્વારા ઉઠાવાયેલ આવી અનેક માગણીઓને ગુજરાત સરકારે પડતી મુકી દીધી હતી. ગુજરાતની ભાજપ સરકાર મોદીના મુખ્યમંત્રીકાળના તમામ મુદ્દાને વિસરીને આગળ વધી રહી છે જે દર્શાવે છે કે જે તે સમયે તત્કાલીન CM મોદીએ ફક્ત અને ફક્ત રાજકીય લાભ લેવા માટે જ આ મુદ્દા ઉઠાવ્યા હતા. ધાનાણીએ ભાજપ અને મોદી બંને પર વધુ પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ કરમસદને JNURM યોજના અંતર્ગત સમાવવા પણ માગણી કરી હતી. પરંતુ પોતે સત્તામાં આવ્યા બાદ આ મુદ્દે તેમણે આ વિષયે એક હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી. જેઓ 10 વર્ષમાં શહેરનો મેટ્રો રેલ પ્રોજેક્ટ પૂર્ણ ન કરી શક્યા તેઓ હવે બુલેટ ટ્રેનની વાતો કરે છે.’જ્યારે રાજ્યમાં રોડ-રસ્તા અને મકાન બાંધકામ મામલે બોલતા ધાનાણીએ કહ્યું કે, ‘ગુજરાત સરકારે જાણીજોઈને રાજ્યના કેટલાય સ્ટેટ હાઈવેઝને નેશનલ હાઇવે જાહેર કરીને કેન્દ્ર સરકારને સોંપી દીધા છે અને કેન્દ્ર સરકારે આ રોડ પ્રાઇવેટ કંપનીઓને સોંપીને ગુજરાતની જનતા પાસેથી ટોલ ટેક્સ ઉઘરાવવાનું શરુ કરી દીધું છે.’વિરોધ પક્ષ નેતા ધાનાણીના આકારા પ્રહારોનો જવાબ દેત વિધાનસભામાં રાજ્યના ડે.ચીફ મિનિસ્ટર નીતિન પટેલે કહ્યું કે, ‘આજે સરદાર સરોવર ડેમ બન્યો છે તો તેનો તમામ શ્રેય ફક્ત અને ફક્ત વડાપ્રધાન મોદીને જાય છે. બાકી તો કોંગ્રેસની કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ આગળ ન વધે તે માટે અનેક કાવાદાવા કર્યા હતા. નેહરુ-ગાંધી પરીવારના મોહના કારણે કોંગ્રેસ ક્યારેય સરદાર પટેલ સાથે જોડાયેલ પ્રોજેક્ટ પૂર્ણ થવા દેવા જ માગતી નહોતી.’ઉપરાંત બીજા મુદ્દાઓ પર વાત કરતા નીતિન પટેલે કહ્યું કે, ‘કેન્દ્ર સરકારે રાજકોટ નજીક ગ્રીનફિલ્ડ એરપોર્ટની મંજુરી આપી દીધી છે. જ્યારે લોકોને ઉચ્ચ ગુણવત્તા અને વધુ સારી સગવડવાળા રોડરસ્તા મળી રહે તે માટે રાજ્યના સ્ટેટ હાઈવેઝને કેન્દ્ર સરકારના હાથમાં સોંપવામાં આવ્યા છે. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ થવાથી બીજા રાજ્યોના વાહનો પણ ગુજરાતના રોડ રસ્તાઓ પરથી વધુ પસાર થાય છે જેના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીમાં રોજગારનું સૃજન થાય છે. તો બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ માટે ગુજરાતને રુ.1 લાખ કરોડનું ફંડ ફાળવાયું છે.’