શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 એપ્રિલ 2018 (12:28 IST)

ગીરમાં રોજગારીનો નવો વિકલ્પ, તાલીમ પામેલા લોકો ગેરકાયદે સિંહદર્શન કરાવે છે

૧૬મી માર્ચે વનવિભાગે ગીરમાં ગેરકાયદે સિંહદર્શન રોકવા એક બેઠક યોજી હતી જો કે આ ઘટનાના ૧૫ દિવસમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક વાછરડાને ઝાડ સાથે બાંધી સિંહને મારણ માટે આકર્ષવમાં આવે છે. સિંહોના આ મારણનો વીડિયો ગીરમાં ધમધમતા ગેરકાયદે સિંહદર્શનના વ્યવસાય વિશે વિચારવા મજબૂર કરે છે. ગીરમાં સિઝન પ્રમાણે એક ગાડીદીઠ રૃપિયા ૨૦૦૦થી ૧૦,૦૦૦ વસૂલી ગેરકાયદે સિંહદર્શન કરાવવામાં આવે છે. આવી રીતે સિંહદર્શન કરાવનારા વ્યક્તિઓ સાસણ, તાલાળા કે ગીર વિસ્તારની કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકો શોધી લે છે.

ગીરમાં વનખાતાના દ્વારા પ્રવાસીઓને કરાવવામાં આવતું સિંહદર્શન જ કાયદેસર છે. ગેરકાયદેસર સિંહદર્શન કરાવતા ઓછામાં ઓછા ૫૦ લોકો હાલ ગીરમાં સક્રિય છે. વનવિભાગમાં બીટગાર્ડ નામના હોદ્દો ફિલ્ડ પરના કર્મચારીઓમાં સૌથી પાયાના સ્તરે આવે છે. બીટગાર્ડના ઉપરી તરીક ફોરેસ્ટ ગાર્ડ, તેના ઉપરી તરીકે ફોરેસ્ટર અને તેના ઉપરી તરીકે રેન્જ ફોરેસ્ટર ફરજ બજાવે છે. બીટગાર્ડને તેની બીટ તરીકે અમુક ચોક્કસ વિસ્તારમાં આપવામાં આવે છે. જ્યાં હરતાફરતા સિંહ સહિતના પ્રાણીઓના લોકેશનની અને અન્ય માહિતી બીટગાર્ડ પાસે હોય છે. મોટાભાગનો સમય જંગલમાં ગાળ્યા બાદ બીટગાર્ડને સિંહના લોકેશન વિશે ચોક્કસ જાણકારી હોય છે. ગેરકાયદે સિંહદર્શન કરાવતા લોકો પણ બીટગાર્ડની જેમ સવારથી જ જંગલમાં ફરતા હોય છે તેથી અમુક રેન્જમાં સિંહના લોકેશનની આછેરી જાણકારી તેમની પાસે હોય છે. સિંહ મારણ કર્યા બાદ ૨૪ કલાક સુધી મારણ આસપાસના વિસ્તારમાં રહે છે, તેથી આવા વ્યક્તિઓને જંગલમાં ક્યાંય મારણ કરેલો મૃતદેહ દેખાય તો તે સિંહના લોકેશનનો અંદાજ મેળવી શકે છે. આમ જંગલમાં કઈ-કઈ જગ્યાએ મારણ પડયુ છે તેની જાણકારી સવારમાં જ મેળવી તેઓ સિંહના લોકેશન વિશે અંદાજ મેળવી લે છે. તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં જે સિંહદર્શન થયું છે તેવા સિંહદર્શન માટે રૃપિયા ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ વસૂલવામાં આવે છે. જેમાં સિંહદર્શન કરાવનારી વ્યક્તિ મારણને ગોઠવવાનો બંદોબસ્ત કરે છે અને પ્રવાસીઓએ દૂરથી આ મારણ નિહાળી શકે છે. આવા લોકો સિવાય ગીરમાં મોટા ખેતરો ધરાવતા કેટલાંક ખેડૂતો પણ ગેરકાયદે સિંહદર્શન કરાવતા હોવાની માહિતી છે. ગીર-ગઢડા, ધારી અને મીતિયાળા આસપાસ ૧૦૦થી ૧૫૦ વીઘાના ખેતરો ધરાવતા કેટલાંક ખેડૂતોને ખાતરી હોય છે કે તેમના ખેતરનો વિસ્તાર વધુ હોવાથી રાતના સમયે સિંહ આવશે જ. તેથી તેમાંથી ઘણાં ખેડૂતો પૈસા લઈને સિંહદર્શન કરાવે છે અથવા તો મિત્રોને બોલાવી સિંહ જોવા નીકળી પડે છે. આવી રીતે ગેરકાયદે સિંહદર્શન કરાવતા લોકો પ્રવાસીઓને પહેલેથી એવી ચેતવણી આપી દેતા હોય છે કે સિંહદર્શ સમયે વનવિભાગ આવી પહોંચે તો તે પ્રવાસીની જવાબદારી રહેશે.