શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ઑગસ્ટ 2017 (12:28 IST)

ગાજ્યાં મેઘ,વરસ્યાં નહીં શંકરસિંહ વાઘેલાએ રાજકીય દોસ્તીને ઠોકર મારી વેવાઇપણુ નિભાવ્યુ,

કોંગ્રેસને અલવિદા કર્યા બાદ અત્યાર સુધી શંકરસિંહ વાઘેલાએ એક વાતનું રટણ ચાલુ રાખ્યુ હતું કે,મારી અને અહેમદ પટેલની ઘણા લાબાં વખતની દોસ્તી છે એટલે હુ તેમને જ વોટ આપીશ. જોકે,આજે તેઓ ભાજપને વોટ આપીને વેવાઇપણુ નિભાવ્યું હતુ. મંગળવારે સવારે મતદાન અગાઉ શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાન વસંતવગડે બાગી ધારાસભ્યો રાઘવજી પટેલ,અમિત ચૌધરી,સી.કે.રાઉલજી,માનસિંહ ચૌહાણ,ભોળાભાઇ ગોહિલ અને મહેન્દ્રસિંહ વાઘેલા એકઠાં થયાં હતાં.

શંકરસિંહ વાઘેલાના ઇશારે જ તમામ બાગી ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કરી ભાજપના ત્રીજા ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતને મત આપવા નક્કી કર્યું હતું. સૌથી પહેલાં શંકરસિંહ વાઘેલા સ્વર્ણિંમ સંકુલ પહોંચ્યા હતાં જયાં તેમણે ક્રોસવોટિંગ કરી બલવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, અહેમદ પટેલ મારા અજીજ દોસ્ત છે પણ કોંગ્રેસ જયારે હારી રહી છે ત્યારે હુ મારો મત વેડફાવવા માંગતો નથી. એટલે મે કોંગ્રેસ વિરૃધ્ધ મતદાન કર્યુ છે. રાઘવજી પટેલ સહિતના તમામ ધારાસભ્યો એક પછી એક આવીને ક્રોસવોટિંગ કર્યુ હતું. આ તમામે પ્રદેશ-કેન્દ્રીય કોંગ્રેસ નેતાગીરી સામે આક્ષેપો કર્યા હતાં.શંકરસિંહ જૂથના ધારાસભ્યોએ કોંગ્રેસ સામે ખુલ્લો બળવો પોકાર્યો હતો. આમ, શંકરસિંહ વાઘેલા અહેમદ પટેલની રાજકીય દોસ્તીને પણ ઠોકર મારી વેવાઇપણુ નિભાવ્યુ હતુ. કોંગ્રેસમાં બગાવત કરીને ભાજપના તારણહાર બનવા ગયેલાં શંકરસિંહ વાઘેલાની રાજકીય ગણતરી લગભગ ઉંધી પડી ગઇ હતી. ભાજપને પણ એવુ હતુંકે, બાપુના તેવર જોતાં લાગતુ હતું કે, કોંગ્રેસમાં મોટુ ગાબડુ પાડશે.પણ ગાજ્યા મેઘ વરસ્યા નહીં તેવો ભાજપ માટે ઘાટ ઘડાયો છે. ભાજપના હોર્સટ્રેડિંગના ભયથી કોંગ્રેસના ધારાસભ્યોને બેંગાલુરૃ લઇ જવાયા હતાં.ભાજપના રાજકીય કાવાદાવાથી કોંગ્રેસ એટલી હદે ચેતી ગઇ કે, તેણે રાજ્યસભામાં ચૂંટણી જીતવા જરૃરી મત જેટલાં ધારાસભ્યોને પોતાના કબજામાં રાખ્યા હતાં. આમ છતાંયે એવી રાજકીય ચર્ચાએ જોર પકડયું કે, પાંચ-સાત ધારાસભ્યો શંકરસિંહના ઇશારે ક્રોસવોટિંગ કરશે પણ આજે માત્ર એક કોંગ્રેસી ધારાસભ્ય કરમશી પટેલે ક્રોસવોટિંગ કર્યુ હતું. આમ છતાંયે જેડીયુ-એનસીપીનો એક મત મળ્યો હોવાનો દાવો કર્યો હતો. આ કારણોસર શંકરસિંહ વાઘેલાની રાજકીય ગણતરી ઉંધી પડી હતી. ભાજપને એમ હતું ,સાતેક ધારાસભ્યો ઉપરાંત અન્ય દસેક ધારાસભ્યો ભાજપમાં ખેંચી લાવશે.કુલ મળીને પંદરેક ધારાસભ્યોનો અંદાજ હતો પણ માત્ર સાતેક ધારાસભ્યોથી વાત અટકી પડી હતી. આ કારણોસર બાપુની રાજકીય તાકાતનો ભાજપને અંદાજ આવી ગયો હતો પરિણામે છેલ્લી ઘડીએ એનસીપી,જેડીયુ અને જીપીપી સાથે ભાજપે રાજકીય સોદો કરવો પડયો હતો.