શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 માર્ચ 2017 (14:18 IST)

આ વખતે ગુજરાતમાં કેસર કેરીની સીઝન લાંબી ચાલશે

ચાલુ વર્ષે કેરીની સીઝન પ્રમાણમાં લાંબી ચાલશે. કેટલાંક વિસ્તારમાં ૨૦થી ૫૦ ટકાની ઘટ જોવા મળી છે, છતાં કેસર કેરીના ઉત્પાદકોને ગયા વર્ષ જેટલા ભાવ જળવાય રહેવાની ધારણા સેવાઈ રહી છે. થોડા દિવસ પહેલા આવેલા વાતાવરણમાં ફેરફારને લઈને ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો હતો. ગયા વરસની સરખામણીએ ચાલુ વરસે ૮૦ ટકા જેટલું જ ઉત્પાદન થવાનો અંદાજ છે. આંબે મહોર બેસવાની પ્રક્રિયા મોડે સુધી ચાલી હોવાથી એવો અંદાજ છે કે ચાલુ વરસે કેરીની આવકની સીઝન જૂન સુધી લંબાશે.

ગીર સ્થિત લાયનપાર્ક ફાર્મના સકીલ ચૌહાણ લગભગ ૧૫૦૦ આંબા ધરાવે છે.  આ વર્ષે ઝાકળ ઓછી પડી હોવાથી કેટલાક આંબામાં મહોર મોડે સુધી બેઠા જ ન હતા, છતાં આવકમાં ઘટનો અંદાજ નથી. કદાચ એટલે જ ભાવ પણ ગયા વર્ષ જેટલા ૭૦૦-૮૦૦ જળવાઈ રહેશે. ગયા વરસની સીઝનમાં ગીરની કેસર કેરીનો ભાવ નીચામાં ૪૦૦-૩૦૦ સુધી ગયો હતો.  આ વરસે ૫૦૦ રૂપિયાનું ભાવબાંધણું જળવાઈ રહેશે પણ શરૂઆતમાં ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.  ચાલુ સીઝનમાં કેટલાક વિસ્તારોમાં આંબે મોડે સુધી મહોર જ બેઠો ન હતો. છતાં ગયા વરસની સરખામણીએ ૧૦૦ ટકા ફાલ આવશે, એટલે ભાવ પણ ગયા વરસ જેવા જ જળવાય રહેશે. લગભગ બધી વાડીના ખેડૂત માલિકો એક વાતે એકમત છે કે તાજેતરમાં વાતાવરણમાં થયેલા ફેરફારથી તો બચી ગયા છીએ. પરંતુ આવનારા દિવસોમાં માવઠું કે વંટોળિયો આવે ને ફાલ ગરી (પડી) જાય તો ભાવ ઊંચા જાય.  વાતાવરણમાં ફેરફારની હમણાં કોઈ શક્યતા નથી. હવામાન ખાતું લગભગ અઠવાડિયા પહેલાં જ આગાહી કરતું હોય છે. એટલે માવઠા કે આંધી વિશે કંઈ કહેવું સમયથી વહેલું ગણાશે. અગાઉનાં વરસોમાં વાતાવરણમાં થયેલા ફેરફારોના કારણે કેસર કેરીના મહોર ખરી જવાની ઘટનાઓ બની છે, જેની અસર તેના ઉત્પાદન અને ભાવ બંને પર પડી હતી. ચાલુ વર્ષે તાજેતરમાં આવેલા વાતાવરણમાં પલટા બાદ હવે ફરી વાતાવરણમાં પલટો નહીં આવે એવી ધારણાએ ગીરની કેસર કેરીના ભાવ જળવાય રહેવાની શક્યતા છે.