શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2017 (16:09 IST)

ગુજરાતમાં જમીનનું ધોવાણ અટકાવવા ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરાશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ગ્રીન કવર વધારી જમીનનું ધોવાણ અટકાવવા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબધ્ધતા સાથે ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર કરવાનો રાજ્ય સરકારનો નિર્ધાર વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગ્રામ પંચાયતથી લઇને મહાપાલિકા સુધીના વિસ્તારોમાં ઓછામાં ઓછા એક હજાર વૃક્ષો વાવીને પર્યાવરણ જાળવણીથી સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી, સ્વચ્છ ઊર્જાના આર્વિભાવને સ્વીકારી ‘કનેકટ ટૂ નેચર’ અભિગમ સાથે આવાં ૧૦ કરોડ વૃક્ષો સ્વૈચ્છિક સંગઠનો, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સહયોગમાં જનભાગીદારીથી વાવવા છે.  તેમણે વિશ્વ પર્યાવરણ દિવસ, પ-જૂનની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત અમદાવાદ મહાનગરમાં સૂકા-ભીના કચરાના વર્ગીકરણ માટે પ૦ હજાર ગ્રીન-બ્લ્યુ ડસ્ટબિનનું નાગરિકોને વિતરણ કર્યુ હતું.  રૂપાણીએ નાગરિકોને તેમના ઘર, કામકાજના સ્થળો, દૂકાન, ઉદ્યોગના સ્થળે સ્વચ્છતા માટે પ્રેરિત કરતી અને ભીના-સૂકા કચરાના અલગ-અલગ વર્ગીકરણ માટેની સામૂહિક પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. તેમણે આવા ભીના કચરાના પ્રોસેસિંગથી વર્મીકમ્પોસ્ટ-ખાતર બનાવીને જમીનની ફળદ્રુપતા વધે, ખેતી વધુ સમૃધ્ધ થાય તે માટે પણ પ્રેરણા આપી હતી. પર્યાવરણ દિવસની ઉજવણી એક પ્રતિક છે. ભારતીય સંસ્કૃતિમાં સદીઓથી વ્યકિતથી સમષ્ટિ અને જીવથી શિવનો વિચાર થયેલો જ છે. આપણે તો પ્રકૃતિ-પ્રભુ-પર્યાવરણના સહઅસ્તિત્વનો સ્વીકાર કરીને સૌનુ સન્માન-સૌની રક્ષા-એકબીજા આધારિત પૂરક બનવાની ભાવનાથી સમગ્ર બ્રહ્માંડને પરિવાર ભાવે જોડનારા લોકો છીએ તેમ તેમણે ઉમેર્યુ હતું. છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વરને વરેલી આ સંસ્કૃતિમાં ભગવાન બુધ્ધ પર્યાવરણ પ્રતિબધ્ધતાનું શ્રેષ્ઠત્તમ ઉદાહરણ છે તેમ મુખ્યમંત્રીશ્રી જણાવ્યું હતું.