શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 ઑક્ટોબર 2018 (12:10 IST)

પાર્કિંગની પળોજણ વચ્ચે ખેલૈયાઓ આજથી ગરબે ઘૂમશે

નવરાત્રિનો આજથી પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે તલપાપડ બન્યા છે. જોકે, અમદાવાદમાં આ વખતે નવરાત્રિ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઘૂમશે ત્યારે તેમને પોતાના વાહનના પાર્કિંગની પળોજણ પણ સતાવશે.પાર્કિંગની સમસ્યને પગલે આ વખતે ક્લબ, પાર્ટી પ્લોટમાં દર વખતની સરખામણીએ ઓછા ખેલૈયાઓ જોવા મળી શકે છે.આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદની અનેક ક્લબોએ નવરાત્રિ માટે દર વર્ષની સરખામણીએ આ વખતે ઓછા પાસ જારી કર્યા છે. રાજપથ ક્લબે આ વખતે ગરબા દરમિયાન ૪ હજાર લોકોની જ મર્યાદા રાખી છે અને તેમાં ક્લબના મેમ્બર્સ-ગેસ્ટ્સને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ગત વર્ષે રાજપથ ક્લબમાં દરરોજ ૧૦ હજાર લોકો ગરબામાં આવતા હતા, જેની સરખામણીએ આ વખતે સંખ્યા ઓછી જોવા મળશે. બીજી તરફ કર્ણાવતી ક્લબે કુલ ૧૬૦૦ કારના પાર્કિંગ માટે વ્યવસ્થા કરી છે. કાર પાર્કિંગની વ્યવસ્થા માટે બે પ્લોટ પણ ભાડે રાખેલા છે. આ વખતે ટ્રાફિક પોલીસના કડક અભિગમ, પાર્કિંગની મર્યાદિત જગ્યાને પગલે અનેક ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે કેબ સર્વિસનો પણ વધારે ઉપયોગ કરી શકે છે. નવરાત્રિ દરમિયાન આ વખતે અનેક શાળા-કોલેજમાં  વેકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.