હિન્દી ફિલ્મ જગતના શ્રેષ્ઠ અભિનેતા, નિર્માતા અને નિર્દેશક, લેખક સ્વર્ગીય ગુરૂદત્તની 9 જુલાઈ આજે જન્મજયંતિ છે. આ મહાન નાયકનુ નામ આવતા જ તેમની મહાન ફિલ્મ 'પ્યાસા' નુ ગીત 'જલા દો ઈસે ફૂંક ડાલો આ દુનિયા' ગીત તેમન પ્રશંસકોની જીભ પર આવી જ જાય.
હિન્દી ફિલ્મોના મહાન નિર્દેશકોની વાત કરવામાં આવે અને તેમાં ગુરૂ દત્તનું નામ ન લેવાય એવું તો બની જ ન શકે. આપણે જેમને ગુરૂ દત્ત તરીકે ઓળખીયે છીએ તે બોલીવુડના અભિનેતાનું આખું નામ હતું ગુરૂ દત્ત શિવ શંકર પાદુકોણે. 9 જૂલાઈ 1925ના રોજ બેગ્લોર ખાતે એક સારસ્વત પરિવારમાં જન્મેલા ગુરૂ દત્તે તેમનું પ્રાથમિક શિક્ષણ કલકત્તામાંથી પ્રાપ્ત કર્યુ. ત્યારબાદ તેમણે અલ્મોડાની એક નૃત્યશાળામાં એડમિશન લીધું. ત્યાં તેઓ બે વર્ષ રહ્યા.
ત્યાર બાદ તેમણે પ્રભાત સ્ટુડીયોમાં ટ્રેઈની તરીકે કામ કરવાની શરૂઆત કરી. ફિલ્મ નિર્માણના દરેક પાસામાં તેઓ રૂચિ ધરાવતા હતાં. અને તેથી પ્રભાત સ્ટુડીયોમાં તેઓ નિર્દેશકોના સહાયક તરીકે કામ કરતા કરતા ફિલ્મ નિર્માણના બધા જ પાસામાં હોંશિયાર થઈ ગયા. 1964માં ફિલ્મ હમ એક હૈં માં નૃત્ય નિર્દેશક તરીકે તેમને સારી એવી પ્રશંસા પ્રાપ્ત થઈ. તે વખતના જાણીતા અભિનેતા દેવાનંદ તેમના ખાસ મિત્ર હતા. તેમણે ગુરૂ દત્તને વચન આપ્યું હતું કે જ્યારે પણે તેમને ફિલ્મ નિર્માણની તક મળશે ત્યારે તેનું નિર્દેશન તે ગુરૂ દત્તને જ આપશે. દેવાનંદ તેમનું વચન નીભાવતા નવકેતન ફિલ્મ્સની શરૂઆત કરી ત્યારે ગુરૂ દત્તને નિર્દેશનનું આમંત્રણ આપ્યું. 1951માં ફિલ્મ બાજી રીલીઝ થતાં જ ગુરૂ દત્ત એક ખ્યાતનામ નિર્દેશક તરીકે જાણીતા થઈ ગયા. ફિલ્મ બાજીના ગીતના રેકોર્ડીંગ સમયે ગુરૂ દત્તની મુલાકાત ગીતા રાય સાથે થઈ. તેમની આ મુલાકાત પ્રેમમાં પરિણમતા 26 મે 1953ના રોજ તેઓ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા.
દેવાનંદ અભિનીત 1952માં રીલીઝ થયેલી ફિલ્મ જાલને બોક્સઓફિસ પર ધારી સફળતા ન મળી. પરંતુ 1953માં રીલીઝ થયેલી બાજ ફિલ્મે ગુરૂ દત્તને સફળતાનો સ્વાદ ચખાડ્યો. 1954માં રીલીઝ થયેલી ફિલ્મ આરપાર દ્વારા ગુરૂ દત્ત તે સમયના અગ્રહરોળના નિર્માતાઓની શ્રેણીમાં આવી ગયા. આરપાર પછી મિસ્ટર એન્ડ મિસીસ 55 (1955) અને પ્યાસા (1957)ને સારી એવી સફળતા પ્રાપ્ત થઈ. 1959માં રીલીઝ થયેલી કાગજ કે ફૂલ પહેલી સિનેમા સ્કોપ હિન્દી ફિલ્મ હતી. જો કે તે ફિલ્મ ગુરૂ દત્ત નિર્દેશીત અંતિમ ફિલ્મ પૂરવાર થઈ. કાગજ કે ફૂલ ગુરૂ દત્તની સૌથી મહાત્વાકાંક્ષી ફિલ્મ હતી. પરંતુ તેને ધારી સફળતા ન મળતા ગુરૂ દત્તે ફિલ્મ નિર્દેશન બંધ કરી દિધું.
જો કે તેમણે ફિલ્મ નિર્માણ અને અભિનયનું કામ ચાલું રાખ્યું. 1962માં રીલીઝ થયેલી તેમની ફિલ્મ સાહિબ બીબી ઔર ગુલામને રાષ્ટ્રપતિએ રજતચંદ્રક એનાયત કર્યો. તે ફિલ્મ તે વર્ષની સૌથી શ્રેષ્ઠ ફિલ્મ પણ પૂરવાર થઈ. ફિલ્મ જગતના જ્હોની વોકર (જાણીતા કોમેડીયન), વી.કે.મુર્થી (સીનેમેટોગ્રાફી), અબ્રાર અલ્વી (સ્ક્રીપ્ટ રાઈટર અને ડાયરેક્ટર) તેમજ જોહરા સહેગલ (કોરીયોગ્રાફર અને અભિનેત્રી) જેવા જાણીતી નામોને લોકપ્રિય બનાવવાનો શ્રેય ગુરૂ દત્તને આપવો જ રહ્યો. 1960માં રીલીઝ થયેલી ચૌદવી કા ચાંદ ફિલ્મ હિટ જતા નાદારીના આરે આવીને ઊભેલો ગુરૂ દત્તનો સ્ટુડીયો બચી જવા પામ્યો.
ફિલ્મ નિર્માતા અને અભિનેતી તરીકે લોકપ્રિય થનાર ગુરૂ દત્તે નાનપણમાં ઘણા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હતો તો ગીતા દત્ત સાથે લગ્ન કર્યા પછી વહીદા સાથેના પ્રેમ પ્રકરણને લીધે તેમનું વૈવાહિક જીવન જોખમે મૂકાયું હતું. તે જ રીતે ગુરૂ દત્તનું મૃત્યુ પણ રહસ્યમય સંજોગોમાં થયું. 10 ઓક્ટોબર 1964ના રોજ તેઓ તેમના ઘરે મૃત્યુ પામ્યા.
તેમણે જીવનથી કંટાળીને દારૂમાં ઉંઘની ગોળીઓ નાખીને આત્મ હત્યા કરી હતી એવું કહેવાય છે. 11 ઓક્ટોબર 1964ના રોજ તેમણે માલા સિંહા સાથે બહારેં ફિર ભી આયેંગી માટે વાતચીત કરવાની હતી. જો કે તેઓ બહારે ફિર આયેંગી માટે કોઈ ભૂમિકા ઘડે તે પહેલા જ આ દુનિયામાંથી વિદાય થઈ ગયા. ગુરૂ દત્તની વધુ પડતા ધુમ્રપાન અને મદિરાપાનની આદતે તેમનો ભોગ લીધો. ગુરૂ દત્તના મૃત્યુ પછી 1973માં તેમની ઘણી ફિલ્મો ભારત અને વિદેશોમાં યોજાયેલા ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શીત કરવામાં આવી.