શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 1 ફેબ્રુઆરી 2014 (11:59 IST)

ભાજપાએ ફરી નવુ ચૂંટણી સૂત્ર આપ્યું 'વિકાસ ભી, ઈમાન ભી, ગરીબો કા સન્માન ભી'

P.R
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુરની ઉપસ્થિતિમાં ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી, જેમાં 'વિકાસ ભી, ઈમાન ભી, ગરીબો કા સન્માન ભી'ના નવા રાજકીય સૂત્ર સાથે ગુજરાતની લોકસભાની તમામ ૨૬ બેઠકો જીતી લેવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો.

આ બેઠકમાં ફેબ્રુઆરી માસ માટેના કાર્યક્રમો ઘડી કઢાયા હતા. ૧૦મીએ ગાંધીનગર કોબા ખાતે તૈયાર થયેલા ગુજરાત ભાજપના નવા પ્રદેશ કાર્યાલય 'કમલમ્'નું મુખ્યમંત્રી મોદીના હસ્તે ઉદઘાટન કરાશે અને તે જ વખતે કોબા ખાતે ભાજપના કાર્યકરોનું પણ સંમેલન યોજાશે. ૧૧મીથી ૨૦મી સુધી ભાજપના દરેક કાર્યકરોને આખું ગુજરાત ખૂંદી વળવાનો આદેશ અપાયો છે, જે મુજબ ભાજપના તમામ કાર્યકરો બૂથ લેવલ સુધી પહોંચશે, જેમાં ભાજપ દ્વારા 'ધનસંગ્રહ' યોજનાનો પુન: પ્રારંભ કરવાનું નક્કી કરાયું છે. ભાજપના કાર્યકરો દરેક ઘર સુધી જશે અને ચૂંટણી માટે ધન એકત્રિત કરશે. આ માટે આજની બેઠકમાં 'વન નોટ - કમલ પર વોટ'ની શીખ અપાી હતી.

૨૧મીથી ૨૮મી ફેબ્રુઆરી દરમ્યાન તમામ કાર્યકરો દ્વારા તમામ ઘરો ઉપર ભાજપની પતાકા લહેરાવશે અને ૩૦મીએ અમદાવાદ ખાતે યુવા રેલી યોજશે, જેનું સ્થળ હવે જાહેર કરાશે. આ રેલીમાં મોદી સહિતના તમામ પ્રદેશ નેતાઓ હાજર રહેવાના છે.

પ્રદેશ કારોબારીની બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે,સમાજના તમામ વર્ગના પ્રતિનિધિઓ અને અગ્રણીઓને સઘન સંપર્ક દ્વારા ભાજપની વિચારધારા સાથે જોડવા જરુરી છે. ફેસબુક, ટ્વીટર અને અન્ય સોશ્યલ મીડિયાના માધ્યમનું મહત્વ આજના સમયમાં વધુ છે એટલે લોકસભાની એક બેઠક દીઠ ઓછામાં ઓછા એક લાખ યુવાનોને અને નાગરિકોને ભાજપની વિચારધારા સાથે જોડવી પડશે. હાલમાં સુશાસનને કારણે કોંગ્રેસ જનમાનસમાંથી સ્થાન ગુમાવી ચૂકી છે ત્યારે ગમે તેવા જુઠ્ઠાણા અને અપપ્રચારથી તેઓ ચૂંટણી જીતી શકે તેમ નથી. જયારે બીજી બાજુ ભાજપની લહેર ચાલી છે. આવા સમયે પ્રત્યેકનો સંપર્ક કરીને વોલ પેન્ટીંગ દ્વારા ભાજપના વિકાસના સૂત્રો અને સંકલ્પો લોકો સુધી પહોંચાડવાના કામમાં લાગી જવું પડશે.

આ બેઠકમાં ભાજપના પ્રભારી ઓમ માથુરે કહ્યં હતંુ કે, દેશમાં પરિવર્તનની લહેર ચાલી છે. મોદીના નેતૃત્વમાં આગામી સમયમાં આર્થિક-સામાજિક પરિવર્તન આવશે એવો વિશ્વાસ કરોડો લોકો ને બેઠો છે. ભાજપના મિશન-૨૭૨ને પૂર્ણ કરવા માટે ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતવી જરૂરી છે અને આ કામમાં કાર્યકરોએ લાગી જવું જરુરી છે.

પ્રદેશ મહામંત્રી વિજય રૂપાણીએ રાજકીય ઠરાવ રજૂ કર્યો હતો, જેમાં યુપીએના શાસન દરમ્યાન થયેલા ગેરવહીવટ, ભ્રષ્ટાચાર, અરાજકતાની માહિતી આપી હતી. જ્યારે પરષોત્તમ રૂપાલાએ ગુજરાત ગૌરવ પ્રસ્તાવ રજૂ કર્યો હતો .

પ્રદેશ ભાજપની કારોબારીની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુએ કહ્યું હતું કે, અનેક કષ્ટદાયક પરિસ્થિતિમાં પણ રાષ્ટ્રવાદની ભાવનાને વરેલા કાર્યકરોએ સમાજની સેવા કરી છે, જેના કારણે ભાજપનું સ્થાન મજબૂત થયું છે. વિચાર, વ્યવસ્થા અને વાતાવરણનું નિર્માણ કરી બૂથ લેવલે ભવ્ય વિજય પ્રાપ્ત કરવા માટેના જરૂરી આયામો છે. તેમણે આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યની તમામ ૨૬ બેઠકો જીતી લેવા માટેનું ઈજન આપ્યું હતું અને 'વિકાસ ભી, ઈમાન ભી, ગરીબો કા સન્માન ભી' જેવું નવું સૂત્ર આપ્યું હતું. દરમ્યાનમાં ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયાએ કહ્યું હતંુ કે ૧૦મીએ કોબા સર્કલ ખાતેના ભાજપના કાર્યલયનું ઉદ્ઘાટન કરાશે. અહીં જ કાર્યકર્તા સંમેલન યોજાશે.