મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. લોકસભા ચૂંટણી 2014
  4. »
  5. લોકસભા ચૂંટણી સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 11 ફેબ્રુઆરી 2014 (18:39 IST)

વાજપેયી સરકાર કરતા મોદી સરકારની બેલેન્સશીટ વધારે .સારી હશે: અડવાણી

P.R
ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરતાની સાથે જ રિસાયેલા એલ.કે. અડવાણીએ સોમવારે ગાંધીનગર ખાતે અટલ બિહારી વાજપેયી સરકારની ૬ વર્ષની બેલેન્સશીટ કરતા ૨૦૧૪ની નરેન્દ્ર મોદી સરકારની બેલેન્સશીટ વધારે સારી હશે એવું જણાવીને નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતા.

ગાંધીનગર નજીક કોબા પાસે ભાજપના નવનિર્મિત પ્રદેશ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે અડવાણીએ ન.મો. પર વખાણની પુષ્પવર્ષા કરતા કહ્યું હતું કે, ૧૯૫૨થી લઈને આજ સુધીની તમામ ચૂંટણી કરતા આ વખતની ચૂંટણીનો જુવાળ જુદો જોવા મળી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે લોકચાહનાના જુવાળ જેવું વાતાવરણ ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યું નહોતું.

અટલ બિહારી વાજપેયી સરકારના શાસનને ટાંકી તેમણે આડકતરી રીતે અટલ બિહારી વાજપેયી કરતા પણ ૨૦૧૪માં નરેન્દ્ર મોદી શ્રેષ્ઠ વડા પ્રધાન બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. અડવાણીએ વાજપેયી સરકારના છ વર્ષના કાર્યકાળની બેલેન્સશીટનો હવાલો આપ્યો હતો. તેમજ ડો. મનમોહન સિંહને અધિકાર વિહોણા વડાપ્રધાન ગણાવતા કહ્યું હતું કે, અટલ બિહારી વાજપેયીની સાથે બીજા કોઈ વડાપ્રધાનની સરખામણી થઈ શકે તેમ નથી.

આ પ્રસંગે પ્રદેશ પ્રભારી ઓમજી માથુરે જણાવ્યું હતું કે, દેશમાં પરિવર્તનની લહેર ચાલે છે અને લહેરમાં ગુજરાતમાંથી ઊઠી છે. દેશમાં જ્યારે રાજકીય અંધકાર હોય છે ત્યારે લોકોની નજર ગુજરાત તરફ હોય છે. સમગ્ર ગુજરાતમાં મંડળ બૂથ, શક્તિ કેન્દ્ર અને હવે પેજ પ્રમુખ જેવી રચનાઓ દ્વારા ગુજરાતની તમામ ૨૬ બેઠક જીતીને નરેન્દ્રભાઈ મોદીને આપણે સૌએ દિલ્હી મોકલવાના છે.