નવી દિલ્હી(એજંસી) રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવ આજે મંગળવારે રેલવે બજેટ રજૂ કરતાં સામાન્ય માનવીને ધ્યાનમાં રાખીને આજનું રેલ બજેટ આપશે તેવી સંભાવના છે. રજૂ થનારું બજેટ મુસાફરો, વ્યવસાયિકો અને રેલવે કર્મચારીઓ માટેની સોગાતોથી લદાયેલું હશે તેવી પણ આગાહીઓ થઇ રહી છે. મુસાફરોને ભાડામાં રાહત અપાશે તો અન્ય શહેરોને જોડતા ગરીબરથની સંખ્યા પણ વધી શકે છે.
રેલવે બોર્ડના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ રેલવે છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન શાનદાર કેશ સરપ્લસ હાંસલ કરેલ છે અને તેથી આ વખતે તમામ ઘ્યાન મુસાફરોની સુવિધાઓ પર અપાશે. આગામી બજેટ મુસાફરોને મોટી ભેટ આપશે. તેમના જણાવ્યા મુજબ રેલવે નૂરની આવક સારી રહેતાં હવે તેના સીધા ફાયદા મુસાફરોને આપવા પ્રયાસ થશે.
નવી ટ્રેન કયાં કયાં -- સંભાવના છે કે, ડિસેમ્બરમાં જે રાજયોમાં ચૂંટણી થવાની છે તે મઘ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની નવી ટ્રેનની જરૂરિયાતો પૂરી કરવા પ્રયાસ થશે. સામાન્ય શ્રેણીમાં સ્લીપરના ભાડામાં થનારા ઘટાડાને કારણે સર્જાનારી ખોટને ગરીબરથના ધોરણે ડબામાં બેઠકોની સંખ્યા વધારીને પૂરી કરવા વિચારણા ચાલી રહી છે.
|