નવી દિલ્હી(એજંસી) કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમ દ્વારા આવતીકાલ ગુરૂવારે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે કે જેમાં સરકારી નાણાકીય બાબતોથી લઈને બાહ્ય વ્યાપાર સુધીના વિવિધ મુદ્દાઓ અંગે નીતિગત નિર્ણયો લેવામાં આવશે. ભારતનું આર્થિક સર્વેક્ષણ મુખ્ય સલાહકાર અરવિંદ વિમાની દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ 2006-07માં ભારતે 9.6 ટકાનો વિકાસ દર હાંસલ કર્યો હતો તેની સરખામણીમાં હાલમાં વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. આ આર્થિક સર્વેક્ષણમાં અમેરિકી અર્થતંત્રની નબળાઈ, ભારતીય રૂપિયાની મજબુતાઈ, નિકાસમાં ઘટાડો, ફુગાવાને અંકુશમાં રાખવા પગલાં અને આસમાને પહોંચેલી ક્રુડ ઓઈલની કિંમતો પર ભાર મુકવામાં આવ્યો છે.
આ વર્ષે કેટલાંક રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અને બાદમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુપીએ સરકારની સફળતાને રજૂ કરવા માટે ભારતીય અર્થતંત્રની ફુલગુલાબી તસવીર રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. તે સીવાય તેનાથી 29મી ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી દ્વારા રજૂ થનાર સામાન્ય બજેટની ઝલક પણ મળી શકશે.
આ વર્ષે વેરા વસુલાતમાં અભુતપૂર્વ વધારો થયો છે ત્યારે કેન્દ્ર સરકાર સામાજિક કલ્યાણ યોજનાઓમાં છુટથી ખર્ચ કરે તેવી શક્યતા છે.
|