નવી દિલ્હી (ભાષા) કેન્દ્રીય નાણા પ્રધાન પી ચીદમ્બરમે આજે સંસદમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2008-09માં નવ ટકાનો વિકાસ દર હાંસલ કરવામાં આવશે અને ફુગાવાને અંકુશમાં રાખવામાં આવશે, કે જેનાથી સામાન્ય માનવીને એકંદરે લાભ થશે. આ સાથે સંસદમાં આજે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું હતું, કે જેમાં સૌથી મોટી ચિંતા મોંઘવારી હોવાનું જણાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ સંસદમાં આર્થિક સર્વેક્ષણ 2007-08 રજૂ કરતાં સમયે ચીદમ્બરમે જણાવ્યું હતું કે, મને વિશ્વાસ છે કે અગિયારમી પંચવર્ષીય યોજનાનો 9 %નો લક્ષ્યાંક સીદ્ધ કરવામાં આવશે. સરકારી આરક્ષીત ભંડોળ વધે તે લક્ષ્યાંક સાથે આપણે અંગત ખપત અને ચીજ-વસ્તુઓના વિતરણના સ્વરૂપમાં સામાન્ય માનવીનું કલ્યાણ પણ કરવું જોઈએ.
નાણા મંત્રીએ જણાવ્યું હતું કે ઘરઆંગણે રોકાણ અને બચતને પ્રોત્સાહન પુરુ પાડીને અમને વિશ્વાસ છે કે અમે નવ ટકાનો વિકાસ દર હાંસલ કરીશું. અમે આ લક્ષ્યાંક માટે સંશાધનોનો શક્ય તમામ લાભ લઈશું. ભારતીય અર્થતંત્ર હાલમાં સ્થિર છે. દેશ આ વર્ષે 8.7 %નો વિકાસ દર રહેવાની શક્યતા છે, કે જે ગયા વર્ષના 9.6 %ની સરખામણીમાં ઘણો ઓછો છે. આ બાજુ કૃષિ ક્ષેત્રનો વિકાસ દર 2.6 % રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે , કે જે ગયા વર્ષના 3.8 % કરતાં ઘણો ઓછો છે કે જે સરકાર માટે મોટી ચિંતાની વાત છે.
સરકાર માટે કૃષિ અને ઉત્પાદન ક્ષેત્રની નબળાઈ ચિંતાની વાત છે. ઉપભોક્તા વસ્તુઓના વેચાણમાં થયેલા ઘટાડાથી પણ સરકાર ચિંતીત છે. પ્રાથમિક ચીજવસ્તુઓ, ખાસ કરીને અન્નના ભાવમાં ભારે વધારો થઈ રહ્યો છે.
બાહ્ય પરિબળોની વાત કરીએ તો અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબુત થઈ રહ્યો છે તે અને ક્રુડ ઓઈલના ભાવો આસમાને પહોંચ્યા છે તે ચિંતાની વાત છે. ચીદમ્બરમે જણાવ્યું હતું કે સામાન્ય માનવીના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે અને રોકાણ માટે પ્રોત્સાહક વાતાવરણ પુરુ પાડવામાં આવશે.
નિકાસ વિકાસ દર 20.3 % રહેવાની શક્યતા છે જ્યારે ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ દર 9.4 % રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોંઘવારીનો દર 4 % રહે તેવી શક્યતા છે.
|