નવી દિલ્હી(ભાષા) ડાબેરીઓએ આજે સંસદમાં યુપીએ સરકારની પોલીસીઓ વિશે ભારે આલોચના કરતા જણાવ્યું હતું કે, આર્થિક સર્વેક્ષણ મુજબ દેશનું સ્વાસ્થ્ય સારૂ ના કહી શકાય, નાણા પ્રધાન ચિદમ્બર દ્વારા બજેટના એક દિવસ પહેલા આજે સંસદમાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણની ડાબેરીઓએ આલોચના કરતાં જણાવ્યું હતું કે સરકાર ભલે લાખો દાવાઓ કરે, પરંતુ હકિકત એ છે કે દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારૂ નથી.
CPI-M (માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સીતારામ યેચુરીએ આજે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, સરકારે પોતના આર્થિક સર્વેક્ષણમાં વર્ષ 2007-08 માટે વિકાસદર 8.7 ટકા દેખાડ્યો છે, જ્યારે જાન્યઆરીના પહેલા મહિનામાં વિકાસદર 9.6 ટકા સુધી પહોંચી ગયો છે. દેશની આર્થિક સ્થિતીની વાસ્તવિક્તા શુ છે તેનું અનુમાન આનાથી લગાવી શકાય છે. તેમજ સરકાર ઉપર કૃષિક્ષેત્ર પત્યે આંખ મિચામણા કરવાનો આરોપ મુકાતા તેમણે જણાવ્યું હતું કે સરકારે કૃષિ ક્ષેત્રના વિકાસ માટે પ્રયત્ન જ નથી કર્યા. આ ખતરનાક બાબત છે, કારણ કે અનાજના ઉત્પાદનમાં સતતત ઘટાડો થઇ રહ્યો છે.
યેચૂરીએ વધુમાં જણાવ્યું હતું કે, ઔધોગિક ક્ષેત્રની સ્થિતી ખરાબ છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને સેવા ક્ષેત્રમાં અમલમાં મુકાયેલી યોજનાઓની સ્થિતીથી કોઇ અજાણ નથી. કુલ મળીને જોવામાં આવે તો દેશનું આર્થિક સ્વાસ્થ્ય સારૂ નથી.
આર્થિક સર્વેક્ષણ સામે પ્રશ્ન ઉઠાવતા યેચુરીએ જણાવ્યું હતું કે, રોજગારી વધારવાની દિશામાં સરકાર તરફથી પુરતા પગલા ભરવામાં આવ્યા નથી અને જે પગલા ભરવામાં આવ્યા છે તે રોજગારી વધારવા માટે પુરતા નથી. તેમણે આરોપ મુક્યો હતો કે કેન્દ્ર સરકાર બચતનો દાવો તો કરી રહી છે પણ બચતના યોગ્ય ઉપયોગની કોઇ યોજના તેની પાસે નથી તેમજ સરકાર તકનો લાભ ઉઠાવી રહી છે.
|