ગુજરાતના મહાન કવિઓ તેમજ મહાન લેખકો થઈ ગયાં તેમાંથી કોઈએ ગુજરાત વિશે ખુબ જ સુંદર પંક્તિઓની રચના કરી હતી. તેમાંથી આજે ગુજરાત દિને મને કવિ નર્મદની કવિતા અચાનક યાદ યાદ આવી જેમણે ગુજરાતની ગાથા ગાતી એક સુંદર કવિતાની સુંદર શબ્દોમાં રચના કરી હતી જે અહીં આપેલ છે-
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત; તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત- જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.
(જય જય ગરવી ગુજરાત !-કવિ નર્મદ) આ કવિતા પરથી આપણે જાણી શકીયે છીએ કે કવિઓને પોતાના ગુજરાત માટે કેટલો પ્રેમ, આદર અને સત્કાર હતો. જેમણે પોતાની એક જ કવિતા દ્વારા આખા ગુજરાતનો ઈતિહાસ, આબોહવા, સ્થાન, ધર્મ અને શુરતાનો પરિચય કરાવી દિધો.
એક અન્ય લેખક ખબરદાર દ્વારા લખાયેલી એક પંક્તિ આજે એક કહાવત બની ગઈ છે અને દરેક ગુજરાતી જો તે પોતાના ગુજરાત બહાર વસતો હોય તો તેના મુખે અવશ્ય સાંભળવા મળે છે- “ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ”
એટલે કે કોઈ પણ એક ગુજરાતી જો ગુજરાત બહાર વસવાટ કરતો હોય તો તે પોતાના આજુબાજુના વાતાવરણમાં પણ ગુજરાતની સુગંધ ભરી દે છે. ત્યાં પણ તે ગુજરાતન જેવું જ વાતાવરણ ઉભુ કરે છે.
ઉમાશંકર જોશીએ પણ ગુજરાત વિશે સુંદર પંક્તિ લખી છે-
“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી, કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.”
ખરેખર ગુજરાતની ભૂમિ ધન્ય છે જ્યાં ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરૂષોનો જન્મ થયો અને પોતાની મહાનતાની લીધે તેમણે દેશ-દુનિયામાં ગુજરાતનું નામ ઉજાગર કર્યું.
|