ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર અને ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ નારાયણભાઈ દેસાઈ ખુબ જ મોટી વયે પણ એક ઉદયમાન ભાસ્કરની જેમ ગાંધીજીના વિચારોને દેશના ખૂણે ખૂણે પહોચાડવાના બનતા પ્રયત્ન બાદ હવે તેઓ ગાંધીજીના અમૂલ્ય વિચાર વારસાને દુનિયાના ખૂણે ખૂણે પહોચાડવાના રળીયામણા સ્વપ્ન સાથે રવિવારે અમદાવાદ હવાઈમથકથી અમેરિકા જવા માટે રવાના થયા હતાં. તેઓ સૌપ્રથવાર વિદેશમાં ગાંધીકથા કરવા જઈ રહ્યા છે.
24, ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા ગાંધીજીના આ બાબલાની ઉમર હાલમાં 84 વર્ષની છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ગાંધીજીના અમૂલ્ય વિચારોનો 'ગાંધીકથા' દ્વારા ફેલાવો કરી રહ્યા છે. તેઓ અત્યાર સુધી લગભગ 56 ગાંધીકથા કરી ચૂક્યા છે. હવે તેઓ વિદેશમાં ત્રણ કથાઓ કરવા જઈ રહ્યા છે, જે ક્રમશઃ અમેરિકા, લંડન અને કેનેડામાં આયોજિત કરવામાં આવી છે. વિદેશમાં ગાંધીકથાનું આયોજન કરાવનાર ત્રણ ભારતીયોમાંથી બે ગુજરાતી અને એક પંજાબી છે. આ ગાંધીકથા પ્રવાસ નારાયણ દેસાઈ સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસ સુધી કરવાના છે. તેમજ કેટલાંક સ્થળોએ ગાંધીજીવન વિષયક પ્રવચન પણ આપવાના છે. ઓકટોબર માસમાં તેઓ જ્યાં જ્યાં ગાંધીકથા અને પ્રવચન કરવાના છે તે સ્થળોના સરનામા કાર્યક્રમની તવારિખ આ પ્રમાણે છે. * ઓક્ટોબર માસમાં 4, 5, અને 6 તારીકે ગાંધીકથા અમેરિકામાં યાલે યુનિવર્સીટી, ન્યૂ હેવન ખાતે યોજાશે. (Yale University, New Haven, USA) * ઓક્ટોબર માસની 9 તારીખે એક પ્રવચન એલએમયુ. એલએ ખાતે યોજાશે. (LMU. LA) * ઓક્ટોબર માસની 10, 11, અને 12 તારીખે ગાંધીકથા જૈન ટેમ્પલ બુએના પાર્ક, એલએ, કેલિફોર્નિયા ખાતે યોજાશે. (Jain Temple Buena Park, LA,California.) ગૂજરાત વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખિમાણી જણાવે છે કે નારાયણ દેસાઈ સામેથી કોઈ ચોક્ક્સ સ્થળે કથાનું આયોજન કરવાનું કહેતા નથી જ્યા સુધી ગાંધીજીના ચાહકો તેમના વિચારોને જાણવાની ઉત્સુકતા ન બતાવે.
અમેરિકા, લંડન અને કેનેડામાં ગાંધીકથા કરવા માટે નારાયણ દેસાઈ સાથે સંગીતકાર તથા ગાયક તરીકે વિદ્યાપીઠના નરેન્દ્ર શાસ્ત્રી અને ભદ્રાબેન તથા નારાણાય દેસાઈના પુત્રી સંઘમિત્રાબેન પણ વિદેશ પ્રવાસમાં તેમની સાથે છે, આમ વિદેશમાં ગાંધીકથા કરવા માટે નારાયણ દેસાઈએ માત્ર ત્રણ વ્યક્તિઓને જ સાથે રાખી છે. આ બાબતથી નારાયણ દેસાઈ રચિત ગીત જીભ પર આવી જાય- 'ગાંસડા પોટલા પીઠે લાદ્યા રહ્યા ના એ રોક્યા ગિરમિટિયા ચાલ્યા.. ગિરમિટિયા ચાલ્યા.. દેશમાં કે વિદેશમાં ગાંધીકથા કરવાનું એક જ ઉદેશ્ય રહ્યું છે- ગાંધી વિચારોને સામાન્યજન સુધી પહોચતું કરવું. રાજેન્દ્ર ખીમાણીએ વિદેશમાં યોજાનાર આ ગાંધીકથાના હેતુને સ્પષ્ટ કરતા જણાવ્યુ હતું કે હજી પણ ગાંધીજી અંગે અરધા અરધ સમાજમાં ગેરસમજ પ્રવર્તમાન છે એ ગેરસમજને દૂર કરી ગાંધીજીના વિચારોને તેમના સુધી પહોચાડી તેમની ખોટી માન્યતાને દૂર કરવી. ઘણા લોકોએ ગાંધી વિષયક સામગ્રીનું વાચન કર્યુ ન હોય, અને લોકો પાસેથી સાંભળવા મળેલી વાતોથી ગાંધી વિરૂદ્ધ દોરાયા હોય તેવા લોકોને ગાંધીજીના સાચા જીવનનો પરિચય કરાવવા તથા ગાંધી અને ગાધીવિચારના મર્મને સમજાવી તેમના જીવનમાં ગાંધી મૂલ્યોને અપનાવવા આકર્ષિત કરવા આ ગાંધીકથાનું આયોજન કરવામાં આવે છે.
વિદેશમાં થનારી આ ગાંધીકથા લગભગ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં થાય એવી એંધાણી છે. જોકે પ્રથમ નારાયણ દેસાઈ કથા સાંભળવા આવેલા શ્રોતાઓને પૂછીને જ કોઈ એક ભાષામાં કથા કરશે. અત્યાર સુધીના ક્રમમાં જ્યાં જ્યાં ગાંધીકથા યોજાઈ છે ત્યાં ત્યાં ગાંધીસાહિત્યના વાચનમાં પણ વધારો થતો જોવા મળ્યો છે, કારણ કે ગાંધીજીના જન્મથી લઈને તેમના મરણ સુધીની કથાને સળંગ પાંચ દિવસ સાંભળ્યા બાદ લોકોમાં ગાંધીજીના કાર્યો અંગે જિજ્ઞાશા પેદા થાય છે, આથી આવનાર શ્રોતાઓ ગાંધીસાહિત્યની ખરીદી કર્યા વગર જતાં નથી. એટલે ગાંધી સાહિત્યના વેચાણમાં પણ વધારો થતો નોંધાયો છે. જોકે હવે આ ગાંધીકથાનું સંપૂર્ણ દૃશ્ય-શ્રાવ્ય સંગ્રહ પણ કરવામાં આવ્યું છે અને તેની ડિવીડી પણ ઉપલબ્ધ છે.
વધતી ઉમરના કારણે નારાયણ દેસાઈમાં શારિરીક અશક્તિ જોવા મળે છે. તેઓ દાદરા પણ ચઢી શકતા નથી. છતાં પણ ગાંધીમૂલ્યોને વરસોવરસ પીરસતા રહેવા માટે તેઓ માનસિક રીતે શક્તિમાન અને દૃડ છે. તેમનું જીવન અને કાર્ય ખરેખર વંદનીય છે. |
|