નાસિક. ગુવાહાટી-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં ઠગ દંપતિએ ત્રણ લશ્કરી જવાનને ઘેનયુક્ત પદાર્થ મીશ્રીત મીઠાઈ ખવરાવી બેહોશ કરી દીધા હતા અને તેઓનો સામાન, રોકડ રકમ મળી હજારોની મતાની ચોરી કરી લીધી હતી. આ બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
રેલ્વે પોલીસના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, લશ્કરના ત્રણ જવાનો અનીલ દસાંગ, દત્તા ભંબારે અને રવિન્દ્ર શેલ્કે સિલીગુડીથી ગુવાહાટી-દાદર એક્સપ્રેસમાં બેઠા હતા. તેમની સાથે મુસાફરી કરી રહેલા દંપતિએ થોડા સમય સુધી વાતચીત કરીને મીત્રતા કેળવી લીધી હતી.
થોડા સમય બાદ પતિ-પત્નીએ થેલામાંથી મીઠાઈ કાઢી હતી અને ત્રણે જવાનોને ખવરાવી હતી. આ મીઠાઈ ખાધાના થોડા સમય બાદ ત્રણે સૈનિકો બેહોશ બની ગયા હતા. જેથી તકનો લાભ લઈને દંપતિએ તેમના ખીસામાંથી રોકડ રકમ, સામાન અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ ચોરી લીધી હતી. આ બનાવ અંગે રેલ્વે પોલીસે ગુનો દાખલ કરી ઠગ દંપતિની શોધખોળ શરૂ કરી છે.
|