કોંગ્રેસે કેન્દ્ર સરકાર પાસેથી સમર્થન પાછુ લેવાની ઉત્તર પ્રદેશની મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બસપા) અધ્યક્ષ માયાવતીની ધમકીને અવગણતા કહ્યું હતું કે, કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીનાં અભિયાનથી માયાવતી ગભરાઈ ગઈ છે.
કોંગ્રેસનાં પ્રવક્તા મનીષ તિવારીએ ગઈકાલે જણાવ્યું હતું કે, માયાવતી દ્બારા કેન્દ્ર સરકાર પાસેથી સમર્થન પાછુ ખેંચી લેવાની વારંવાર ધમકીથી ચિંતિત નથી. માયાવતીનું બે દિવસ પહેલા આવેલું બયાન રાહુલ ગાંધીની તાજેતરની બુંદેલખંડની યાત્રાની પ્રતિક્રિયાનાં રૂપમાં હતું.
તેમણે કહ્યું હતું કે, આ બયાનથી લાગે છે કે દલિત અને નબળા વર્ગનાં લોકોનો અવાજ અને આકાંક્ષાઓને સામે લાવવાનાં રાહુલનાં અભિયાને માયાવતીને રાજકીય રીતે હચમચાવી દીધી છે અને તેમની ટીકાથી સ્પષ્ટ થાય છે કે અભિયાનની અસર થઈ રહી છે.
એક પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ જાતિ કે ક્ષેત્રનાં આધાર પર નેતા તૈયાર કરવામાં વિશ્વાસ રાખતો નથી.
|