કરોડો રૂપિયાનાં નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડનાં સરગના અબ્દુલ કરીમ તેલગી તેનાં જીવન પર બનેલી 'મુદ્રાંક' ફિલ્મ જોઇને દુઃખી થયો અને તેણે તેનાં પર પ્રતિબંધની માંગણીનો નિર્ણય કર્યો છે.
તેલગીનાં વકીલ વિદ્યાધર કોશે તથા મિલિંદ પવારે યરવડા જેલ પરિસરમાં એક અસ્થાયી થિયેટરમાં ફિલ્મ દેખાડ્યા બાદ આ માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, તેલગી ફિલ્મ જોઈને દુઃખી થયો છે અને ફિલ્મ પર સ્થાયી પ્રતિબંધની માંગણીનો નિર્ણય કર્યો છે. ફિલ્મ રજુ થવાથી અન્ય રાજ્યોમાં તેનાં વિરૂદ્ધ બંધ પડેલા કેસો પર અસર પડશે.
ફિલ્મ જોયા બાદ તેલગીએ એક યાદી પોતાનાં વકીલને સોંપી હતી જેમાં તેની અડચણો લખેલી હતી. આ ફિલ્મ એક કંપનીએ દોઢ કરોડ રૂપિયાનાં ખર્ચે બનાવી છે. એક અદાલતનાં નિર્દેશ પર ફિલ્મ દેખાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે સેંસર બોર્ડે તેને મંજૂરી આપી દીધી છે.
|