જયપુર. જયપુરના ચાંદપોલ, હવામહેલ, સાંગાનેરી ગેટ, શહેર કોતવાલી, મનિહારો કા રાસ્તા, માણેક ચોક તથા જોહરી બજારમાં મંગળવારે સાંજે સાડાસાત વાગ્યાના સુમારે શ્રેણીબદ્ધ બોંબ વિસ્ફોટ થતાં હાહાકાર મચી ગયો હતો. આ સિરીયલ બોંબ બ્લાસ્ટમાં કુલ 67 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 200થી વધુ લોકોને ઈજા પહોંચતાં તેઓને સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં જ રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ચકચાર મચી ગઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર દેશના મહત્વના શહેરોમાં એલર્ટ ઘોષીત કરી દીધુ હતુ અને એરપોર્ટ, રેલ્વે સ્ટેશન અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો હતો. જયપુરમાં થયેલી ઘટના અંગે રાજ્યના પોલીસ મહાનિર્દેશક એ એસ ગિલે જણાવ્યુ હતુ કે, આ બોંબ વિસ્ફોટો અંગે કોઈ પણ આતંકવાદી સંગઠને જવાબદારી સ્વીકારી નથી.
રાજ્યના સ્વાસ્થય મંત્રી નરપતસિંહ રાજવીએ જણાવ્યુ હતુ કે, સવાઈ માનસિંહ હોસ્પિટલમાં 55 મૃતકોની લાશો મુકવામાં આવી છે અને અન્ય મૃતકોના પીએમ માટે સંતોકબા દુર્લભજી હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજે તથા અન્ય દિગ્ગજનેતાઓએ આ ઘટનાને વખોડી નાંખી હતી.
સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે અને દોષીતો સામે સખ્ય કાર્યવાહી કરવામાં આવશે.
|