વેબદુનિયા. અનાજ અને તેલની વધતી કિંમતો દેશમાં મોંઘવારી માટે જવાબદાર છે, તેવુ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહે દેશવાસીઓ માટે જારી કરેલા પોતાના સંદેશમાં જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, દેશમાં વધી રહેલી અનાજની કિંમતો પર અંકુશ મેળવવા માટે સરકાર તેના નિકાસ પર નિયંત્રણ રાખી રહી છે.
તદ્ઉપરાંત બહારથી અનાજનો પુરવઠો આયાત કરવા તરફ પણ સરકારે પગલાં લીધા છે. અનાજનુ ઉત્પાદન વધારવા માટે સરકારે ખેડૂતોને પ્રોત્સાહન મળે તેવી યોજનાઓ ઉભી કરી છે તેવુ તેમણે વધુમાં કહ્યુ હતુ. પરંતુ આ સાથે તેમણે અનાજની મુશ્કેલી દુર કરવા માટે કુદરતની મદદનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
તેમણે જણાવ્યુ હતુ કે, આવનારા ચોમાસામાં વરસાદ સારો પડે તેવી સંભાવના છે. જેથી સારા વરસાદના કારણે અનાજ પણ વધુ પાકશે અને તેનાથી દેશમાં અનાજની કિંમતમાં થઈ રહેલા વધારાને રોકવા માટે મદદ મળશે તેવો તર્ક તેમણે રજુ કર્યો હતો. જેને જોતાં સરકારને અનાજની મોંઘવારી સદંતર દુર કરવા માટે વરસાદનો સહારો છે તેવુ તેમણે આડકતરી રીતે કબુલ્યુ હતુ.
|