ઓરીસ્સાનાં કંધમાલ અને તેની આસપાસનાં કેટલાંક વિસ્તારોમાં કોમી તોફાનોને કારણે પરિસ્થિતિ ખુબ જ સ્ફોટક બનેલી છે. ત્યારે પોલીસ ઉપમહાનિર્દેશક સંજીવ પાંડાએ જણાવ્યું હતું કે કોરાપત જિલ્લાનાં જેપોરમાં હિંસાનાં બનાવો બાદ સીઆરપીએફની ત્રણ કંપનીઓને ગોઠવી દેવામાં આવી છે. જ્યારે રાજ્ય પોલીસની આઠ પ્લાટુન પણ કર્ફ્યુગ્રસ્ત શહેરમાં ગોઠવવામાં આવી છે.
પરિસ્થિતિને કાબુમાં લેવા માટે મુખ્યમંત્રી નવીન પટનાયક ખુદ કંધમાલ જિલ્લામાં છે. તો જેપોરમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. જો કે ભીડ દ્વારા હુમલો કર્યા બાદ બે સમુદાયો વચ્ચે થયેલા સંઘર્ષમાં અધિકારીઓ સહિત 11 લોકો ઘાયલ થયા હતાં. અને, હાલ ત્યાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યો છે.
વિશ્વ હિન્દુ પરિષદનાં વરિષ્ઠ નેતા સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા બાદ રાજ્ય સરકારે વધુ 23 કંપનીઓ અને ત્રણ હેલીકોપ્ટરની માંગણી કરી હતી. જેમાંથી તેમને 16 કંપનીઓ મળી છે. ચિંતાની વાત એ છે કે હિંસા ધીમે ધીમે નવા વિસ્તારોમાં ફેલાઈ રહી છે.
|