રાજસ્થાનમાં બસો વિધાનસભા બેઠકો માટે આજે થયેલ મતદાન કેટલાક બનાવોને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ મતદાન અંદાજે 60 ટકા જેટલું થયું છે.
ચૂંટણી અને પોલીસ વિભાગ દ્વારા મળેલી વિગત મુજબ રાજ્યમાં ઉમેદવારોના કાર્યકર્તાઓ વચ્ચે થયેલી અથડામણની કેટલીક ઘટનાઓને બાદ કરતાં મતદાન એકંદરે શાંતિપૂ્રણ રહ્યું હતું.
સુત્રોએ જણાવ્યું કે, ઉદયપુર જિલ્લાના નાથદ્વારા મત વિસ્તારના નીડચ ગામમાં પાર્ટી કાર્યકર્તાઓમાં મામલો બીચકાતાં સાત વ્યક્તિઓ ઘાયલ થઇ હતી. જેમાંથી ત્રણને ઉદયપુર લાવામાં આવ્યા હતા.
આ પ્રકારે કરોલી જિલ્લાના બાલાઘાટ થાણા વિસ્તારના યાહેડા ગામમાં એક વ્યક્તિએ ફાયરીંગ કરતાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. નાગૌર જિલ્લાના ડેગાના વિધાનસભા વિસ્તારના સનલરી તથા નાગોરી વિધાનસભા બેઠક ભરતપુર જિલ્લાની ડીગ કુમ્હેર વિસ્તારના સાબોરામમાં પણ અથડામણ થઇ હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ ભેરોસિંહ શેખાવત, રાજ્યપાલ એસ.કે.સિંહ, તેમની પત્ની મંજૂસિંહ, મુખ્યમંત્રી વસુંધરા રાજે, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, હરીફ પાર્ટીના નેતા હેમારામ ચૌધરી, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બી.ડી.કલ્લા સહિત અન્ય નેતાઓએ પણ ઉત્સાહ પૂર્વક મત આપ્યો હતો. ઇવીએમ મશીન ખોટવાતાં રાજ્યપાલને મતદાન માટે કેટલોક સમય માટે પ્રતિક્ષા કરવી પડી હતી.
|