ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલે દેશનાં નામ આપેલા સંદેશામાં જણાવ્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં નિર્ણાયક યુદ્ધ લડવાનો સમય આવી ગયો છે. વિશ્વની શાંતિ અને સ્થિરતા માટે આતંકવાદને ખતમ કરવું જરૂરી છે.
પાટીલે જણાવ્યું હતું કે ભારત એક નવી મહાશક્તિ બનવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આતંકવાદ નામનો રાક્ષસ દેશને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જેનો મજબૂતિથી સામનો કરવામાં આવશે. તેમણે ધર્મ અને જાતિવાદનાં ભેદભાવો ભુલી જઈને ભારતીય તરીકે કામ કરવા દેશવાસીઓને અપીલ કરી હતી.
રાષ્ટ્રપતિએ દેશની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમાં કોર્પોરેટ જગતમાં થઈ રહેલાં કૌભાંડને ધ્યાનમાં ચિંતા દર્શાવી હતી. તેમજ બેન્કીંગ અને કોર્પોરેટ સેક્ટરને જનતાનો વિશ્વાસ ફરીથી જીતવા હાકલ કરી હતી.
આ સાથે તેમણે દેશનાં યુવાનો ભવિષ્યનાં નિર્માણકર્તાઓ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે દેશનાં સારા ભવિષ્યનાં નિર્માણ માટે યુવાઓને આગળ આવવું જોઈએ. તેમણે એક સફળ અને મજબૂત રાષ્ટ્રનાં નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરવા તૈયાર રહેવા અપીલ કરી હતી.
|