બહુર્ચિચત ચાંદમહમંદ-ફિઝા લવસ્ટોરીમાં આજે નવો વળાંક આવ્યો છે. હરિયાણાના પૂર્વનાયબ મુખ્યમંત્રી ચંદ્રમોહન ઊર્ફે ચાંદમહમંદની બીજી પત્ની ફિઝા ઊર્ફે અનુરાધા બાલીએ આજે કહ્યું હતું કે, ચંદ્રમોહને તેને લગ્ન કરવા વિનંતી કરી હતી. ચંદીગઢ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ફીઝાએ કહ્યું હતું કે, ચંદ્રમોહને તેને છેતરી છે અને તે ગમે તે સમયે દેશ છોડી દે તેવી શકયતા છે.
ફીઝા આજે ફરીવાર હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર અને ચંદ્રમોહનના મોટાભાઈ કુલદીપ બિશ્નોઈ પર આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે, મહિલાનું માન-સન્માન જાળવવાનું તેઓ જાણતા નથી. બિશ્નોઈ બિનજરૂરી રીતે મારું નામ રાજકારણમાં ઢસડી રહ્યાં છે. રાજનીતિમાં મારો કોઈ ધ્યેય નથી.
અત્રે એ ઊલ્લેખનીય છે કે, હરિયાણાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચંદ્રમોહન પરિણીત હોવા છતાં અનુરાધા બાલી સાથે બીજા લગ્ન કરવા મુસ્લીમ ધર્મ અંગીકાર કરી લીધો હતો. 29મી જાન્યુઆરીએ ફીઝાએ આરોપ કર્યો હતો કે, ચંદ્રમોહનનું અપહરણ થયું છે.
જોકે ચંદ્રમોહને તે સાંજે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તે નાનો બાળક નથી કે તેનું અપહરણ કોઈ કરી જાય. ત્યારબાદ બીજા દિવસે ચંદ્રમોહને કહ્યું હતું કે, તેને તેની પત્ની ખૂબ જ યાદ આવે છે. ત્યારબાદ ત્રીજા દિવસે ફીઝાએ આત્મહત્યાની કોશિષ કરતા ઘેનની દવા ખાઈ લીધી હતી.
|