આતંકવાદીઓ અને નકસલવાદીઓ દ્વારા ટ્રેનોને ટાર્ગેટ બનાવવાનો સિલસિલો વધ્યો છે ત્યારે રેલવેએ યાત્રીઓની સુરક્ષા માટે કમાન્ડો બટાલિયનો ઊભી કરવાની જાહેરાત કરી હતી. 140 સંવેદનશીલ અને હુમલા થઇ શકે તેવા સ્ટેશનો માટે ઇન્ટેગ્રેટેડ સિકયુરિટી સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે.
સંસદમાં વર્ષ 2009-10 માટેનું રેલવે બજેટ રજૂ કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ મહિલા કમાન્ડોની સંખ્યામાં વધારો કરશે. મહિલા આરપીએફ એસ્કોટ્સ મહિલાઓની સુરક્ષા માટે ગોઠવવામાં આવશે. ખાસ કરીને જે સેકશનો ઊપર વધારે સંખ્યામાં મહિલાઓ નિયમિત રીતે યાત્રા કરે છે તેવા સેકશનો ઊપર વધારે ધ્યાન આપવામાં આવશે.
મમતાએ કહ્યું હતું કે રેલવેની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. અલબત્ત કાયદો અને વ્યવસ્થાની બાબત રાજયનો વિષય છે છતાં રેલવેની યાત્રીઓની સુરક્ષાની જવાબદારી બને છે. જેથી સુરક્ષિત પ્રવાસની ખાતરી કરવા સંબંધિત તમામ સંસ્થાઓ સાથે મળીને કામ કરવામાં આવશે. |