બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે સામાન્ય બજેટને ખૂબજ નિરાશાજનક અને ક્ષેત્રીય વિષમતા વધારનાર હોવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ડો. મનમોહનસિંહને આ મામલે સુધારા કરવાની માંગ કરી છે.
નિતિશકુમારે આજે અહીં બજેટ ઉપર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ બજેટ ઘણું જ નિરાશાજનક છે અને સરકારના વિકાસના દાવા ખોખલા સાબિત દેખાઇ રહ્યા છે.
તેમણે કહ્યું કે, નાણામંત્રીએ બજેટ ભાષણમાં કૌટિલ્યની ચર્ચા કરી પરંતુ એમની ધરતી બિહારને ભુલી ગયા છે. બજેટમાં બિહારની જે રીતે ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે એ ઉપરથી એવું લાગી રહ્યું છે કે, કેન્દ્રની નજરમાં બિહારનું કોઇ અસ્તિત્વ જ નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે આઇલા બાદ પશ્વિમ બંગાળ માટે પેકેડની જાહેરાત કરી છે પરંતુ કોસી પીડિતો માટે કોઇ મદદ ન આપી બિહાર સાથે ઘોર અન્યાય કર્યો છે. તેમણે કહ્યું કે, કોસી પીડિતોની મદદ નહીં કરી કેન્દ્ર સરકારે સંવેદનશીલતા અને રાજનીતિક દુર્ભાવનાઓથી પીડાતા હોવાનું પ્રમાણ આપ્યું છે.
|