કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી દ્વારા રજૂ કરાયેલાં બજેટને સંતુલિત ગણાવતાં વડાપ્રધાન ડો.મનમોહનસિંઘે કહ્યું હતું કે બજેટમાં કરવામાં આવેલી જોગવાઈથી ‘ભારત અને ઈન્ડિયા’ વચ્ચેનું અંતર ઘટશે.
વડાપ્રધાન ડો.મનમોહનસિંઘે સંસદ પરિષદમાં પત્રકારો સાથે વાત કરતાં બજેટને આવકારતાં કહ્યું હતું કે નાણામંત્રીએ પ્રશંસનીય કામગીરી નિભાવી છે. આ એક સંતુલિત બજેટ છે. મુશ્કેલ જનક નાણાંકીય વર્ષ માટે બજેટ ખાસ વધારે સરસ છે. વૈશ્વિક સ્તરે સર્જાયેલી નાણાંકીય કટોકટીની અસર બને તેટલી ઓછી કરવાનો નાણામંત્રીનો હેતુ છે.
ચાલુ નાણાંકીય વર્ષના મધ્ય ગાળામાં 8થી 9 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરી લઈશું. આર્થિક મંદીની અસર ઘટાડવા માટે આર્થિક તંત્રને આવશ્યક સ્ટેમ્યુલસ પેકેજ પણ અપાયા છે. આર્થિક પેકેજની શરૂઆત ગતવર્ષના ડિસેમ્બર માસથી શરૂ થઈ હતી. તે બજેટમાં પણ ચાલુ રહ્યું છે. બજેટનો ધ્યેય અર્થતંત્રની ટુંકાગાળા માટેની જરૂરિયાતો અને મધ્યગાળાની જરૂરિયાતો પ્રાપ્ત કરવાનો છે.
યુપીએ સરકારના આમઆદમીના વિકાસના ધ્યેયનું ગાણું ગાતાં ડો.મનમોહનસિંઘે કહ્યું હતું કે, આર્થિક વૃદ્ધિદર વધારવા માટે બજેટમાં પગલાં લેવામાં આવ્યાં છે. જેમાની પ્રાથમિક જરૂરિયાત ગ્રામીણ વિકાસ પર બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. ગ્રામીણ વિકાસમાં સામાજીક વિકાસને પણ સમાનરૂપે આવરી લેવાશે.
તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે દેશના શહેરી વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારો વચ્ચેના વિકાસના અંતરને દૂર કરવાના પ્રયત્નો બજેટમાં ભરપૂર કરાયા છે.
|