નવી દિલ્હી(ભાષા) ભાજપાના અગ્રણી લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આતંકવાદીઓના ટાર્ગેટ પર છે તેવો રિપોર્ટ ગુપ્તચર વિભાગે કેન્દ્ર સરકારને સોંપ્યો હતો. આ ગુપ્ત રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આઈએસઆઈએ કુખ્યાત આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને આ બંને નેતાઓને ખતમ કરવાની જવાબદારી સોંપી છે.
મધ્યપ્રદેશના જબલપુરથી બુધવારે ભાજપા નેતા લાલકૃષ્ણ અડવાણી સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરનાર છે, ત્યારે તેમની સુરક્ષા વિષે કેન્દ્ર સરકાર કોઈ કચાશ બાકી રાખવા માગતી નથી. અડવાણી પર આતંકવાદી હુમલો થાય તેવી સંભાવના તાજેતરમાં ગુપ્તચર વિભાગે વ્યક્ત કરી હતી. જેને જોતાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણે રવિવારે અડવાણીની મુલાકાત લઈને તેમની સુરક્ષા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનના દાવેદાર લાલકૃષ્ણ અડવાણી આતંકવાદીઓના નિશાના પર છે. દેશના ગુપ્તચર વિભાગ દ્વારા આ બાબતની જાણ કેન્દ્ર સરકારને કરવામાં આવી હતી. દરમિયાન બુધવારથી અડવાણી સંકલ્પ યાત્રાનો મધ્યપ્રદેશથી પ્રારંભ કરવાના છે. આ સમયગાળામાં તેમની સુરક્ષા વધારો કરવો પડે તેવી પરિસ્થીતીનુ નિર્માણ થયુ છે. કેન્દ્ર સરકાર તેમની સુરક્ષા બાબતે કોઈ ઢીલાશ રાખવા માગતી નથી અને તેથી જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણે ગઈકાલે અડવાણીની મુલાકાત લીધી હતી. તેમણે અડવાણી સાથે તેમની સુરક્ષાના મામલે વિસ્તૃત ચર્ચા કરી હતી.
|