ગાંધીનગર. 1લી મેં, 1960ના રોજ ગુજરાતને મહારાષ્ટ્રમાંથી અલગ કરીને એક સ્વતંત્ર રાજય બનાવવામાં આવ્યું હતું, આથી આ દિવસને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુજરાતના 49માં સ્થાપના દિવસની ઉજવણી રાજય સરકાર અમરેલી ખાતે યોજી રહી છે. આમ, 1લી મેંના રોજ યોજાનારા મુખ્ય સમારોહના યજમાન બનવાનું સદભાગ્ય અમરેલી જિલ્લાને મળ્યું છે. ગુજરાત સરકારના પ્રવક્તા અને આરોગ્ય અને પારિવાર કલ્યાણ મંત્રાલયના પ્રધાન જયનારાયણ વ્યાસે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સ્થાપના દિવસને ગૌરવ દિન ગણાવ્યો છે અને આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુજરાતના રાજ્યપાલ નવલ કિશોર શર્મા અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સમારોહમાં ઉપસ્થિત રહશે.
વ્યાસે વધુમાં કહ્યું હતું કે, રાજકોટ શહેરની વિવિધ સમસ્યાઓ ઉકેલવા માટે 14 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યાં છે. રાજકોટ શહેર તેમજ અમરેલી શહેરમાં પાણીની તીવ્ર તંગી છે અને લોકોને અઠવાડિયામાં એક જ દિવસ પીવાનું પાણી મળે છે. જો કે 1લી મેંથી રાજકોટ અને અમરેલીવાસીઓને નર્મદાનું પાણી નિયમીત મળશે એટલે આ સમસ્યાનો ઉકેલ આવી જશે.
|