અમદાવાદ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ભાષાઓની સમાચાર એજંસી 'હિન્દુસ્થાન સમાચાર'ની સુવર્ણ જયંતીના ઉદ્દઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, દેશહિત સર્વોપરી છે એ ભાવથી પત્રકારત્વનો પ્રભાવ ઊભો થવો જોઇએ. સમાજના ભલા માટે સકારાત્મક સમાચારોની તાકાત ઘણી મોટી છે તેને શા માટે ઉજાગર નથી કરતી? કોઇ સમાજ કે દેશ પોતાની ખરાબીઓને આગળ ધરે તો વિકાસ સંભવ જ નથી.
હિન્દુસ્થાન સમાચાર સંસ્થાએ દેશ હિત અને સમાજ માટે હકારાત્મક પત્રકારત્વને પ્રાધાન્ય આપ્યું છે તેમ જણાવી સુવર્ણજયંતીના અભિનંદન આપ્યા હતા. ભારતીય બધી ભાષાઓની સંવાદ માધ્યમે 'હિન્દુસ્થાન સમાચાર'ની સ્થાપના દાદા સાહેબ આપ્ટેએ કરી હતી. અને આજે મુખ્યમંત્રી દ્વારા 'વિકાસલક્ષી ગુજરાત અને પત્રકારત્વ' પુસ્તિકાનું વિમોચન સુવર્ણ જયંતી નિમિતે કરવામાં આવ્યું હતું. અભિનવ ભારત'ના પ્રકાશન, 'બ્રિટીશ મ્યુટિની ઓફ 1857' પ્રકાશનનું લોકાર્પણ પણ મોદીએ કર્યું હતું.
પત્રકાર જગત અને અખબાર સંચાલક માલિકોની ભૂમિકા વચ્ચેની ભેદરેખા દર્શાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે સ્થિતિ એવી છે કે, અખબારોમાં વાંચન કઇ રીતે કરવું તેની કળા હસ્તગત કરી લેવાની જરૂર છે. અખબારની વિશ્વસનિયતા પર પ્રશ્ન કેમ ઉઠે છે? જે છાપામાં નથી તે બધુ ગુપ્ત છે તેમ અને જે છાપાઓમાં આવે છે તે સત્ય છે તેમ માનવું ભ્રમ છે એમ તેમણે જણાવ્યું હતું. 'પત્રકારિતા માંખી જેવી નહી, મધમાંખી જેવી હોવી જોઇએ, જેમાં માંખી ગંદકી ઉપર બેસે છે, જ્યારે મધમાંખી મધ પર બેસે છે અને તેના ડંખની તાકાત અનોખી હોય છે' તેમ તેઓએ ઉમયું હતું.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વરિષ્ઠ પ્રચારક શ્રીકાંતજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'હિન્દુસ્થાન સમાચાર'ના સ્થાપક દાદાસાહેબ આમટેએ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાચારોનું સંકલન કરવાના ઉદેશોથી આ સંસ્થાની સ્થાપના કરી હતી. 1957માં સહકારી સંસ્થા તરીકે સંસ્થાની સ્થાપના થઇ હતી. આ સંસ્થા હાલમાં 11 ભાષાઓમાં સમાચાર આપે છે. આગામી સમયમાં સંસ્કૃત ભાષામાં સમાચાર આપવાનું આયોજન છે. હાલમાં 120 જેટલા સમાચાર પત્રો આ સંસ્થાના સમાચારો મેળવે છે. અને ત્રણ યુનિવર્સિટી પણ સમાચાર મેળવે છે.
આ પ્રસંગે બાલભારતી ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી રમણભાઇ શાહ, ગુજરાતના પ્રાંત સંચાલક અમૃતભાઇ કડીવાલા, રાજયસભાના સાંસદ સુરેન્દ્રભાઇ પટેલ, સંઘના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
|