અમદાવાદ. આસારામ આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતા બે માસુમોની હત્યાને પગલે આજે અમદાવાદ બંધનું એલાન અપાયું છે. જેમાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા છે અને હત્યારાઓને સજા થાય એવી માંગ કરી રહ્યા છે.
આ બંધમાં લોકો સ્વયંભૂ જોડાઇ રહ્યા છે અને સવારથી જ શાળા, કોલેજો, દુકાનો સહિતનું બજાર બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથોસાથ માસૂમોના હત્યારાઓને સજા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.
સજ્જડ બંધની વચ્ચે લોકોના એક ટોળાએ આસારામના આશ્રમને ઘેરો ઘાલ્યો છે. જેને પગલે સ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ફાયરિંગ પણ કર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આસારામ આશ્રમના ગુરૂકુળમાં અભ્યાસ કરતા બે માસુમ પિતરાઇ ભાઇઓ અભિષેક અને દિપેશની કથિત હત્યાના વિરોધમાં લોકોમાં ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે. જેને પગલે ગઇકાલે અમદાવાદમાં રેલી નીકળી હતી અને શુક્રવારે બંધનું એલાન અપાયું છે.
બે માસુમોની હત્યા આશ્રમના કેટલાક શખ્સોએ તંત્ર વિદ્યા માટે કરી હોવાની અટકળો ઉઠી રહી છે જેને પગલે લોકોમાં ભારે આક્રોશ ફેલાઇ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રતિ વર્ષે ગુરૂ પૂર્ણિમાના દિવસે અહીં ગુરૂ પૂજન કરાતું હતું જ્યારે આજે માહોલ કંઇક જુદો જ જોવા મળી રહ્યો છે.
|