મહાત્મા ગાંધીજી સ્થાપિત સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા છેલ્લા બે વર્ષથી ગાંધીજયંતિ નિમિત્તે પાંચ દિવસીય પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતના વિવિધ ગામોમાં પગપાળા જઈ તે ગામમાં એક દિવસ રોકાઈ ગાંધીએ સૂચવેલા જીવનમૂલ્યોની વહેચણી કરવાનું ઉમદા કાર્ય આ પદયાત્રાના કેન્દ્રમાં રહેલું છે. આ વખતે આ પદયાત્રા 28 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવી હતી.
ગૂજરાત વિદ્યાપીઠના લગભગ 779 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ આ પદયાત્રામાં ભાગ લીધો હતો. ઉપરાંત ગૂજરાત વિદ્યાપીઠની અન્ય શાખા રાંદેજા અને સાદરાના પણ વિદ્યાર્થી ભાઈબહેનો પણ તેમાં સમાવેશ થાય છે. આ પદયાત્રા ગયા વર્ષથી જ ચાલુ કરવામાં આવી હતી.
ગયા વર્ષે આ પદયાત્રા માત્ર અમદાવાદ અને ગાંધીનગરના આસપાસના ગામડાઓમાં કરવામાં આવી હતી, જ્યારે આ વખતે આ વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતના કચ્છ, પાટડી, ડાંગ, ખેરાલુ, પાટણ, ચાણસ્મા, જુનાગઢ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લગભગ 700 ગામડાઓને ખુંદી વળ્યા હતાં.
પદયાત્રા દરમિયાન આ વિદ્યાર્થીઓ ગામડાઓમાં સવારે સવારે પ્રભાતફેરી કરે છે. બાળવિકાસ, ધુમ્રપાન,એચઆઈવી અંગે જાગૃતતા માટે ઠેર ઠેર પોસ્ટરો લગાવે છે, અને ઘેર ઘેર પત્રિકાઓ વહેચવામાં આવે છે. શાળાઓમાં જઈ બાળકોની મુલાકાત કરે છે. તેમજ વ્યસનમુક્તિ અને આરોગ્ય કેવી રીતે સાચવવુ અને કેવીરીતે શારિરીક સારસંભાળ રાખવી તેના પાઠ ભણાવે છે.
સાંજ પડતાં જ ગામમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળવિકાસ, આરોગ્ય, વ્યસનમુક્તિ, તેમજ એઈડ્સ અંગે જાગૃતિ લાવવા સંબંધી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને બીજા દિવસે બીજા દિવસે બીજા ગામ તરફ નીકળી પડે છે.
|