ભારત દેશમાં આજે પણ સ્ત્રીઓની સ્થિતિ કરૂણાજનક બનેલી છે. તો તેમની મજબૂરીનો લાભ લેનારાઓ એક શોધો તો હજાર મળે તેવા છે. પણ લગ્નવાંચ્છુ યુવાનો સાથે છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યમાં એક એવી ટોળકી સક્રિય છે. જે પૈસા લઈને લગ્ન કરાવી આપે છે. પણ ઘરે આવેલી લક્ષ્મીરૂપ પુત્રવધુ લગ્નનાં થોડા દિવસ બાદ બરબાદ કરીને ફરાર થઈ જાય છે.
આ કિસ્સો ખેડા જિલ્લાનો છે. પણ તે ટોળકીનાં સભ્યો ભરૂચનાં ભોલાવ ઝુપડપટ્ટીમાં રહે છે. અહી રહેતાં એક દલાલે બે સંતાનની માતાનાં લગ્ન ખેડા જિલ્લાનાં બાલાસિનોરનાં સાકરીયા ગામનાં યુવાન સાથે કરાવી દઈ રૂ.30 હજારની રોકડ,દાગીના સહિત માલસામાન પડાવી લીધો હતો. સમાજસેવાનાં બહાને થયેલી આ છેતરપીંડીએ ઘણાં સવાલો ઉપસ્થિત કર્યા છે. આ સમસ્યામાં સામાજિક સમસ્યા પણ સંકળાયેલી છે. જેમાં સમાજમાં સ્ત્રી-પુરૂષોનાં જન્મ દરમાં વધી રહેલી અસમાનતા પણ જવાબદાર છે.
પ્રાપ્ત માહિતી મુજબ હરખાબેન માલજીભાઈ વણકરનાં બે પુત્રો કુંવારા હોવાથી મોટા પુત્ર નગીનભાઈ માટે સંબંધીએ ભરૂચ ભોલાવ ઝુંપડપટ્ટીમાં રહેતાં સુનિલભાઈ નામના શખ્સનો સંપર્ક કરાવ્યો હતો. 15 ડિસેમ્બર 2008નાં રોજ સુનિલભાઈ, લીલાબેન ઉર્ફે સંગીતા નામની યુવતિને લઈ હરખાબેનનાં લગ્ન કરાવવા સુનિલભાઈએ 30 હજાર રોકડા માંગતા હરખાબેન તેમની જમીન ગીરવે મુકી રૂપિયાની વ્યવસ્થા કરી હતી.
18 ડિસેમ્બરે ફાગવેલ ગામે ભાથુજીનાં મંદિરે લગ્ન કરાવ્યા બાદ પાંચ દિવસમાં લીલાબેન દાદાની તબીયત ખરાબ હોવાનું જણાવી ભરૂચ પરત આવી ગઈ હતી. નગીનભાઈએ પત્નીને ખબર અંતર પુછવા ભરૂચ ફોન કરતાં સુનિલભાઈએ સામેથી આવીને પત્નીને લઈ જવા જણાવ્યું હતું.
ગુરૂવારે હરખાબેન તેમના બીજા પુત્ર જ્યંતિભાઈ સાથે પુત્રવધુને લેવા ભરૂચની ભોલાવ ઝુપડપટ્ટી ખાતે આવી પહોચ્યા હતાં. જ્યાં લીલાબેનને ઘરે જતાં તેઓને ખબર પડી હતી કે સંગીતા બે બાળકોની માતા છે, ત્યારે તેમના હોશકોશ ઉડી ગયા હતા. લીલાબેનનાં પતિએ વણકર પરિવારને જણાવ્યું હતું કે સુનિલભાઈ છેતરપીંડી કરીને યુવતિઓનાં લગ્ન કરાવી રૂપિયા પડાવવાનો ગોરખધંધો કરે છે. ત્યારે વણકર પરિવારને છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
આ અંગે વણકર પરિવારે ભરૂચનાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રૂ.30 હજારનાં રૂપિયા, દાગીના અને છેતરપીંડીની ફરીયાદ દાખલ કરી છે. પોલીસે આ અંગે બે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.
સમસ્યાનું મૂળઃ ખેડા જિલ્લાનાં બાલાસિનોર નજીક સાકરીયા ગામમાં રહેતાં વણકર સમાજનાં પુરૂષો કરતાં સ્ત્રીઓની સંખ્યા ઓછી હોવાની યુવાનો લગ્ન માટેની વિકટ સમસ્યા ઉભી થઈ છે. તેથી ઘણી વાર દૂરનાં વિસ્તારમાંથી છોકરીઓ લાવવી પડે છે. તો કેટલાંક કિસ્સામાં તો આદિવાસી વિસ્તારમાંથી પણ વિધવા યુવતિ હોય છે. કારણ કે ઘણા યુવાનોની ઉંમર ખુબ વધારે હોય છે. તેમજ ઓછું શિક્ષણ તેમજ ઓછી આવક હોવાની તેમને સમજૂતિ કરવી પડે છે.
રૂ.60 હજાર બચી ગયાઃ હરખાબેનનાં બીજા પુત્ર જ્યંતિનાં લગ્ન પણ સુનિલભાઈએ પીન્કી ઉર્ફે મીના નામની યુવતિ સાથે સગપણ કર્યું હતું. જો કે તેમની પૈસાની સગવડ ન હોવાથી લગ્ન પાછા ઠેલવાનું કહેવામાં આવ્યું હતું. પણ આ ઠગ ટોળકીએ વડોદરાનાં ગોરવાનાં કોઈ શખ્સને ઠગી ગોરવા વિસ્તારમાં આ પીન્કીનાં લગ્ન કરાવી દઈ રૂ.60 હજાર પડાવી લીધા હતા.
|