શહેરમાં ભાજપનાં શાસનમાં વાહનચાલકો અને રાહદારીઓ માટે રોડ પરથી પસાર થવું દુષ્કર બન્યુ છે. તેમજ શહેરમાં ઠેર ઠેર આડેધડ રીતે કરાયેલા ખોદકામને કારણે ટ્રાફીકની સમસ્યાઓ ઉભી થઈ છે.
કાંકરીયા કાર્નિવલ પહેલાં કાંકરીયાને જોડતાં બધા રસ્તાઓ રીસરફેસ કરવામાં આવ્યા હતા. પણ બહેરામપુરા-દાણીલીમડાથી કાંકરીયાને જોડતા આ રસ્તા ઉપર મોટાભાગે શ્રમજીવી પરિવારોને હેરાન કરવા જાણી જોઈને માર્ગને રીપેર કરવામાં આવ્યો નથી. આ પ્રકારનો આક્ષેપ કોંગ્રેસનાં પ્રવક્તા જ્યંતિલાલ પરમારે કર્યો છે.
તેમજ ભાજપ સરકારે આશા વ્યક્ત કરી હતી કે વાસણા-દાણીલીમડા-કાંકરીયાનો રસ્તો કાંકરીયા કાર્નિવલ ઉત્સવ પહેલાં શરૂ થઈ જશે, પણ તે જાહેરાત પોકળ સાબિત થઈ હતી. એકબાજુ રસ્તો શરૂ થયો નથી, અને બીજી બાજુ જમાલપુર સરદાર બ્રીજનાં છેડે ઓવરબ્રીજનુ કામ શરૂ કરવામાં આવ્યું છે. અને કોન્ટ્રાક્ટરે શાકમાર્કેટ પાસેના રોડને કવર કરી લેતાં વાહનચાલકોને તકલીફ પડી રહી છે.
તેથી વાસણા-દાણીલીમડા-કાંકરીયાનો રસ્તો સંપૂર્ણ રીપેર કરીને વાહન ચાલકો અને રાહદારીઓ માટે શરૂ કરવાની જરૂર હતી. તેના બદલે જમાલુપર બ્રીજનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
|