શહેરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડથી હચમચી ઉઠેલી સરકારે સખત આદેશ કરતા ગઇકાલે રાજયના ડીજી વિડીયો કોન્ફરન્સ દ્વારા જિલ્લા પોલિસ વડાઓ સાથે તાત્કાલીક બેઠક યોજી બુટલેગરો અને દેશીદારૂના અડ્ડાવાડાઓ પર કાર્યવાહી કરવા આદેશ કરાયો હતો. જેને પગલે વિવિધ જિલ્લા પોલીસે 1350 જેટલા સ્થળોએ દરોડા પાડી બે હજારથી વધુ બુટલેગરોને પકડી પાડ્યા છે. જેમાં અમદાવાદના 350 બુટલેગરોનો સમાવેશ થાય છે.
શહેરમાં સિરીયલ બોમ્બ બ્લાસ્ટ બાદ સિરિયલ લઠ્ઠાકાંડ સર્જાતા અમદાવાદ સહિત ગુજરાતભરમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટના સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાથી ગુજરાત સરકાર પણ હચમચી ઊઠી છે. સરકારે પોતાના પર થયેલા આક્ષેપો દૂર કરવાના ભાગરૂપે કરેલા કડક આદેશના પગલે રાજયના ડીજી એસ.એસ. ખંડવાવાલએ ગઇકાલે વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજયના વિવિધ જિલ્લા પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી.
બેઠકમાં જીડી ખંડવાવાલાએ રાજયમાં બુટલેગરો પર ત્રાટકવાનો આદેશ કરતા ગતરાત્રીથી તમામ જિલ્લા પોલીસ વડા હરકતમાં આવી ગયા હતા અને પોતાના ક્ષેત્રમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જેમાં રાજયભરમાં 1350 સ્થળોએ દરોડા પાડ બે હજાર જેટલા બુટલેગરો અને દેશીદારૂના અડ્ડાવાળાઓને ઝડપ લેવામાં આવ્યા છે.
ઝડપાયેલામાં અમદાવાદમાં 350 શખ્સો, વડોદરામાં 150, અમરેલીમાં પાંચ મહિલા સહિત 17, વડોદરામાં એક મહિલા સહિત 150, વલસાડમાં 12 મહિલા સહિત 53, સુરતમાં 40, ભાવનગરમાં 75, આણંદમાં 150 શખ્સો અને ગાંધીનગર નજીક સાબરમતી તટમાં પોટલીનગરના અડાવાળાનો સમાવેશ થાય છે. હજી વધુ દરોડાની કાર્યવાહી ચાલુ છે જેમાં વધુ શખ્સો પકડાય તેવી શકયતા છે.
|