| | સુધારેલા નશાબંધીના કાયદામાં દારૂ બનાવનાર, દારૂની હેરાફેરી કરનારા, દારૂના સંગ્રહ કરનારા, દારૂનું વેચાણ કરનારા અને લઠ્ઠાનો સંગ્રહ કરનારા ગુનેગારને દસ વર્ષની અને દારૂનો જથ્થો પુરો પાડનારા બુટલેગરોને ‘આજીવન કેદ’ની સજા થઈ શકશે |
| |
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે પ્રવર્તમાન નશાબંધી કાયદામાં કડકમાં કડક જોગવાઈઓ ઉમેરીને દારૂ અને લઠ્ઠાના ગુનેગારો ફાંસીની સજાને પાત્ર થાય તેવા સુધારા સાથેનું વિધેયક વિધાનસભામાં દાખલ કર્યું છે. આની સાથોસાથ, નશાબંધીના કાનૂનના અમલમાં નિષ્કાળજી દાખવનારા પોલીસોનો ગુનો પણ જેલની સખત સજાને પાત્ર ગણવામાં આવશે.ઝેરી દારૂ, લઠ્ઠો વગેરે પીવાથી થતા જીવલેણ મૃત્યુ કમનસીબ ઘટનાઓ રોકવા તથા નશાબંધીના કાયદાનો ચૂસ્ત અમલ કરવા માટે, પ્રવર્તમાન નશાબંધીના કાનૂનમાં ક્રાંતિકારી સુધારા કરવાનો ઐતિહાસિક અને અભૂતપૂર્વ નિર્ણય રાજય સરકારે લઈ લીધો છે.આ સરકારે પહેલીવાર નશાબંધીના પ્રવર્તમાન કાયદામાં, નવી શકિતશાળી કલમનો ઉમેરો કર્યો છે. આ કલમની જોગવાઈ હેઠળ દારૂબંધીના કાયદા હેઠળ કસુરવાર ગુનેગાર માટે ‘ફાંસીની સજા’ સુધીની સખત શિક્ષાત્મક જોગવાઈ દાખલ કરાશે. આ નવી કલમ હેઠળ, જીવલેણ દારૂમાં લોકોના મૃત્યુ થાય તો, ગુનેગારને મૃત્યુદંડની સજા થઈ શકશે. સુધારેલા નશાબંધીના કાયદામાં દારૂ બનાવનાર, દારૂની હેરાફેરી કરનારા, દારૂના સંગ્રહ કરનારા, દારૂનું વેચાણ કરનારા અને લઠ્ઠાનો સંગ્રહ કરનારા ગુનેગારને દસ વર્ષની અને દારૂનો જથ્થો પુરો પાડનારા બુટલેગરોને ‘આજીવન કેદ’ની સજા થઈ શકશે. કોઈપણ સંજોગોમાં આવા ગુનેગારને 7 વર્ષની ઓછામાં ઓછી સજા થશે નહીં. જે પોલીસ અધિકારીઓ અને નશાબંધી વિભાગના અધિકારીઓ આ કાયદાના અમલમાં નિષ્કાળજી દાખવવા માટે જવાબદાર હશે તેની સામે કાનૂની ગુનો દાખલ કરીને તેઓ સામે પણ કેસ ચલાવાશે અને એક વર્ષની સજાને પાત્ર રહેશે. ગુજરાત સરકારે અમદાવાદના ઝેરી દારૂ પીવાની કમનસીબ ઘટનાની અને જીવલેણ દારૂથી થયેલાં મૃત્યુના બનાવોની અત્યંત ગંભીર નોંધ લીધી છે. ભૂતકાળમાં, રાજયમાં જુદી જુદી સરકારોના શાસનમાં ઝેરી દારૂથી મૃત્યુના સંખ્યાબંધ બનાવો બનેલા અને ઘટનાની તપાસ કરવા માટે ઈન્કવાયરી કમિશનો પણ કાર્યરત થયેલાં. આમ છતાં કોઈ નક્કર પગલાં, ત્યારબાદ લેવાયા નથી. આ સુધારેલો કાયદો એ બાબત સ્પષ્ટ કરે છે કે લઠ્ઠો, દારૂ વગેરે નિયત કરેલી મર્યાદા ઉપરાંતના જથ્થાની હેરાફેરી, પરિવહન અને વપરાશમાં લેવાના તમામ પ્રકારના વાહનો, સાધનો વગેરે સરકારી સંપત્તિ તરીકે જપ્ત કરી લેવાને પાત્ર છે.આ સુધારેલા કાયદા અન્વયે, આ પ્રકારે પકડાયેલા દારૂ, લઠ્ઠા વગેરેના નમૂના ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં મોકલવાનું ફરજિયાત બનશે. સમગ્ર દેશમાં લઠ્ઠા અને દારૂના ગુનેગારો સામે ‘મૃત્યુ દંડની સજા’ ‘આજીવન કેદ’ અને ‘સખત જેલની સજા’ની જોગવાઈઓ કરનારૂ ગુજરાત પ્રથમ રાજય બનશે. |